Pakistan On Kashmir: 'ભારતની 13 લાખની સેના.. આ ઈસ્લામાબાદના ગળાની નસ', કાશ્મીર પર ફરી બોલ્યા PAK આર્મી ચીફ અસીમ મુનીર
Pakistan Army General Asim Munir On Kashmir: પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે તાજેતરમાં કાશ્મીર અને ભારતના સંબંધમા નિવેદન આપ્યુ છે. તેમણે ઓવરસીજ લોકો માટે આયોજીત કરેલ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે કાશ્મીર ઈસ્લામાબાદની ગળાની નસ હતી અને રહેશે. તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે પાકિસ્તાન આ મુદ્દાને ક્યારેય નહી ભૂલે અને કાશ્મીરના લોકોનુ સમર્થન કરતુ રહેશે.
જનરલ મુનીરે કહ્યું કે પાકિસ્તાન અને ભારત બે અલગ અલગ રાષ્ટ્રો છે. આ તફાવત ફક્ત ધર્મમાં જ નહીં, પરંતુ રિવાજો, સંસ્કૃતિ, વિચારસરણી અને મહત્વાકાંક્ષાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે. મુનીરે 1947 ના ભાગલા પાછળના બે રાષ્ટ્ર સિદ્ધાંતનુ સમર્થન કર્યુ હતુ. તેમણે કહ્યું કે પાકિસ્તાનની રચના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પર આધારિત હતી અને ભવિષ્યમાં પણ આ જ વિચાર ચાલુ રહેશે.
ભારતીય સેના અંગે જનરલ મુનીરનું નિવેદન
જનરલ મુનીરે માત્ર કાશ્મીર પર જ નહીં પરંતુ બલુચિસ્તાન પર પણ પાકિસ્તાનના મજબૂત વલણ વિશે વાત કરી. તેમણે કહ્યું કે અલગતાવાદી દળો ગમે તેટલી કોશિશ કરે, તેઓ પાકિસ્તાનની ક્ષેત્રીય અખંડિતતાને નુકસાન પહોંચાડી નથી શકતી. ભારતની 13 લાખની સેના પાકિસ્તાનને ડરાવી શકી નથી તો થોડા આતંકવાદીઓ પણ તેમનું ભાગ્ય બદલી શકતા નથી. તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાન આંતરિક અસ્થિરતા, આર્થિક દબાણ અને વૈશ્વિક રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યું છે.
ભારત-પાક સંબંધોમા કાશ્મીર સંવેદનશીલ મુદ્દો
પાકિસ્તાનના સેના પ્રમુખના આ આક્રમક વલણથી બંને દેશો વચ્ચે પહેલાથી જ વર્તમાન તનાવ વધુ ઊંડો થઈ શકે છે. ભારત-પાક સંબંધોમાં કશ્મીર એક સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિષય રહ્યો છે. આવી નિવેદનબાજી આ ઐતિહાસિક વિવાદને શાંતિથી ઉકેલવાના પ્રયાસોમાં અવરોધ બની શકે છે.
ભારતે 2019માં કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35 એ ને રદ્દ કરી દીધુ હતુ. આ નિર્ણય પછી પાકિસ્તાનમાં ખૂબ હોબાળો મચ્યો હતો. જો કે ભારતે સ્પષ્ટ કહ્યુ કે આ તેનો આંતરિક મામલો છે તેથી પાકિસ્તાન તેના પર દખલગીરી ન કરે. તેમ છતા પડોશી દેશ ઈંટરનેશનલ સ્ટેજ પર કાશ્મીરના મુદ્દાને ઉછાળવાની કોશિશ કરી પણ તેને દરેક વખતે નિરાશા જ હાથ લાગી.