શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (18:34 IST)

11 કરોડ લોકોએ નથી લીધી કોરોના વેક્સીનની બીજી રસી, વેક્સીનેશન માટે 2 નવેમ્બરથી ડોર ટુ ડોર અભિયાન શરૂ

કોરોના વેક્સીનેશન(Corona Vaccinaion) ને લઈને ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ અભિયાન 2 નવેમ્બરે શરૂ કરવામાં આવશે. હકીકતમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ તાજેતમાં જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને પ્રતિનિધિઓની સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં જે જિલ્લાઓમાં રસીકરણ અંગે નબળી કામગીરી જોવા મળી છે ત્યાં રસીકરણ માટે ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવવા જણાવાયું છે. 'હર ઘર દસ્તક'ના નામે ચલાવવામાં આવનાર આ અભિયાન આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લેનારા 11 કરોડથી વધુ લોકોએ બે ડોઝ વચ્ચેના નિર્ધારિત સમય પુરો થવા છતા પણ બીજો ડોઝ લીધો નથી.  સરકારના ડેટામાં આ વાત સામે આવી છે. આંકડા દર્શાવે છે કે 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ છ સપ્તાહથી વધુ સમયથી બીજો ડોઝ લીધો નથી. એ જ રીતે, લગભગ 1.57 કરોડ લોકોએ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનનો બીજો ડોઝ ચારથી છ અઠવાડિયામાં લીધો છે અને 15 કરોડથી વધુ લોકોએ બેથી ચાર અઠવાડિયા મોડા રસી લીધી છે. 
 
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યો આદેશ 
 
કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનું અંતર છે, જ્યારે કોવેક્સિનના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર જાળવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એવા લાભાર્થીઓને બીજા ડોઝને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે જેમણે નિર્ધારિત અંતરાલ સમાપ્ત થયા પછી પણ બીજો ડોઝ લીધો નથી.
 
સૂત્રોના જણાવ્યા મુજબ, મનસુખ માંડવિયાએ બેઠક દરમિયાન કોવિડ વેક્સીનેશન, પીએમના આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અને ઈમરજન્સી કોવિડ-19 રિસ્પોન્સ પેકેજ અંગે ચર્ચા કરી હતી.