શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ/વૃંદાવન, , સોમવાર, 15 માર્ચ 2021 (12:20 IST)

વૃંદાવન કુંભ મેળામાં મુંબઈમાં રહેતાં કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખી આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે

વૃંદાવનમાં ચાલી રહેલા કુંભ મેળામાં પહેલીવાર મુંબઈમાં રહેતાં કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીએ ભાગ લીધો અને શાહી સ્નાન કર્યું. તેઓ તમામ લોકોના આકર્ષનાં કેન્દ્ર બન્યાં છે. વૃંદાવન કુંભ પૂર્વ વૈષ્ણવ બેઠકમાં કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખી ભજન-કીર્તન અને પ્રવચનની સાથોસાથ શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યાં છે. કુંભ મેળામાં હજારો સાધુ-સંતો અને મહામંડલેશ્વરે પોતપોતાના તંબુ તાણ્યા છે. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુ મહામંડલેશ્વરના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે. કુંભ મેળો 25 માર્ચ 2021 સુધી ચાલશે.
મુંબઈનાં સુપ્રસિદ્ધ પ્રવચનકાર અને ભાગવત કથા વાચક કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખી વૃંદાવનમાં ચાલી રહેલા કુંભ અંગે કહે છે કે, મારી શિક્ષા દીક્ષા બધું વૃંદાવનમાં થયું છે. અહીં જ શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. બ્રિજવાસીઓ સાથે અહીં ઘણી સારી અનુભૂતિ થાય છે. મેં મારૂં તન-મન- ધન બધું કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. તેમની જ કૃપા અને આશીર્વાદને કારણે આજે હું અહીં સુધી પહોંચી શકી છું. મારા જીવનને તેમણે ધન્ય બનાવી દીધું.
આમ તો હિમાંગી સખીનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો હતો પણ પછી મુંબઈમાં સ્થાયી થઈ. એના પિતા મુંબઈમાં ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર હતા અને રાજ કપૂર સાથે ઘણું કામ કર્યું હતું. એનું ભણતર કૉન્વેન્ટ સ્કૂલમાં કર્યું પણ માતા-પિતાના અવસાનને કારણે છોડવું પડ્યું. ત્યાર બાદ બહેનનાં લગ્ન કરાવ્યા અને આજીવિકા માટે શબનમ મૌસી, ડાઉન ટાઉન અને થર્ડ મેન જેવી ફિલ્મોમાં કામ કર્યું. ઉપરાંત વી ચૅનલના શો એક્સ યોર એક્સ અને આઈ બી ઇન 7 ચૅનલના જિંદગી લાઇફ શોમાં પણ આવી ચુકી છે. ત્યાર બાદ કૃષ્ણ ભગવાન તરફ ઝોક વધતો ગયો અને બધું છોડી વૃંદાવન જતાં રહ્યાં અને ત્યાં જ ગુરૂ પાસે તમામ શાસ્ત્રોનું જ્ઞાન લીધું અને હવે આ સ્થાને પહોંચ્યાં છે.