ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (18:18 IST)

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર પોલીસ અને SRPના 200 જવાનોએ ફૂટ પેટ્રોલિંગ શરુ કર્યું

આગામી 13 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી કાઢવાનો નિર્ણય લેવામાં આવશે. જો કે અમદાવાદ શહેર પોલીસે રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે રથયાત્રાના રૂટ પર અતિસંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુરમાં પોલીસ અને SRPના જવાનોએ દરિયાપુર પોલીસ સ્ટેશનથી ડબગરવાડ, વાડીગામ સુધી 200 પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગમાર્ચ કર્યું હતું.

પોલીસ કર્મીઓ રથયાત્રા રૂટ પર છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો કોનફરન્સથી ચર્ચા કરી હતી.  ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આગામી 13 જુલાઈના રોજ યોજાશે કે કેમ તેના અનેક તર્કવિતર્ક વચ્ચે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ભગવાન નગરચર્યાએ નીકળે તેની મંજુરી માંગવામાં આવી છે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં પણ 50 લોકો જ હાજર રહેશે તે માટે પણ મંજૂરી માગવામાં આવી છે.

જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે પોલીસ કમિશનરને હાથી, ટ્રક, અખાડા, ભજનમંડળીઓ સાથે ભગવાનની રથયાત્રા કાઢવા મંજૂરી માંગવાની અરજી કરવામાં આવી છે. અરજી બાદ મીટીંગ કરવામાં આવશે અને તેઓ નક્કી કરે તે મુજબ રથયાત્રા કાઢવામાં આવશે.  ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. એ દિવસ પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે એમ જણાવ્યું હતું. રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે.