શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (16:59 IST)

કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ, એક જ દિવસમાં મહેસાણા-અમદાવાદમાં વિવિધ આગેવાનોએ રાજીનામું ધર્યું

congress
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક વખત ભડકો થયો છે. મહેસાણાના ઊંઝામાં આજે રાજકીય ભૂકંપ આવ્યો હતો, જેમાં કોંગ્રેસના 40થી વધારે કાર્યકરો દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું. જ્યારે 15 જેટલા અગ્રીણીઓએ તો પાર્ટીમાંથી જ નિવૃત્તી જાહેર કરી દીધી હતી. બીજી તરફ અમિત શાહે જ્યાંથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો આ દરમિયાન અમદાવાદમાં પણ કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝામાં કોંગ્રેસથી નારાજ 40થી વધુ આગેવાનોએ અચાનક રાજીનામું ધરી દીધું હતું. જ્યારે કેટલાક સિનિયર નેતાઓએ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ઊંઝા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દશરથ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતા પટેલ તથા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મહેશ ચૌધરીએ પણ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે.બીજી તરફ અમદાવાદ જિલ્લા કોંગ્રેસમાં પણ આજે ગાબડું પડ્યું છે. કોંગ્રેસ પ્રદેશ મંત્રી અને મહિલા વિંગ પ્રમુખ સહિત 10 જેટલા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આજે કેસરીયો ધારણ કરી લીધો. ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓએ પક્ષ છોડી દેતા આગામી ચૂંટણીમાં કોંગ્રેસને આની ખોટ ખાસ વર્તાશે. ત્યારે હવે આગામી દિવસોમાં પણ કોંગ્રેસમાં વધુ ભંગાણ થાય તેની શક્યતાને નકારી શકાય તેમ નથી. એવામાં હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ પોતાના પક્ષના જ નારાજ નેતા અને કાર્યકરોને મનાવવા માટે કોઈ પ્રયાસ કરશે કે કેમ.