1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 એપ્રિલ 2022 (09:21 IST)

કેજરીવાલ અને ભગવંત માનનો આજે અમદાવાદમાં રોડ શો. 10.00 વાગ્યે સાબરમતિ આશ્રમની મુલાકાત લેશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદમાં ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.બંને નેતાઓ આજથી બે દિવસ અમદાવાદની મુલાકાતે છે. આજે સવારે 10 વાગ્યે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધી રોડ શો યોજશે.

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને તેના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેજરીવાલ અને ભગવંત માન ગત રાતે દિલ્લીથી અમદાવાદ પહોંચ્યા હતા.એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સ્વાગત કર્યું હતું.એરપોર્ટથી સીધા તેઓ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ પર પહોંચ્યાં હતા. કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાતના પગલે આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા આ ઉતારી લેવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે.

શુક્રવારે બપોરે પણ અસારવા વિસ્તારમાં આ રીતે બેનર ઉતારી લેવાતાં હોબાળો મચ્યો હતો ત્યારે ગઇકાલે મોડી રાત્રે પણ કોર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં બેનરો ઉતારી અને ગાડીઓમાં ભરી લેવાતા કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ અને નેતાઓ એ આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓની અમદાવાદની મુલાકાતથી ભાજપ સરકાર ડરી ગઈ છે.તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાને ધ્યાનમાં રાખી અને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પર હુમલો ન થાય તેને ધ્યાનમાં રાખી અને રોડ-શો અને ગુજરાતની મુલાકાત દરમ્યાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી સુરક્ષામાં વધારો કરવાની માંગ કરતા સુરક્ષા વધારવામાં આવી છે.

આજે રોડ શો બાદ આવતીકાલે 3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. ત્યારબાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈ અને ચર્ચા કરશે. તાજ સ્કાયલાઈન હોટલમાં જ તેઓ ચૂંટણી અંગે બેઠકો કરશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્લી જવા રવાના થશે.