અમદાવાદ પ્લેન ક્રેશ વળતર - ઓફર પર ભડકી વિજય રૂપાણીની પુત્રી, ટાટા સંસનાં ચેયરમેનને સંભળાવી બે ટૂંક
Ahmedabad Air Crash Anniversary
અમદાવાદ વિમાન દુર્ઘટના (AI-171) ની પ્રથમ વરસી પૂર્વે એક નવો વિવાદ સામે આવ્યો છે. આ કમનસીબ અકસ્માતમાં જાન ગુમાવનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણીએ એર ઇન્ડિયા પર પીડિત પરિવારો પર અન્યાયી દબાણ લાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક પત્ર દ્વારા તેમણે જણાવ્યું છે કે, એરલાઇન વળતર આપવાના બદલામાં પરિવારો પાસેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કે મુકદ્દમો કરવાનો અધિકાર છીનવી લેવા માંગે છે. નોંધનીય છે કે 12 જૂન, 2025 ના રોજ થયેલા આ અકસ્માતમાં વિજય રૂપાણી સહિત 260 લોકોના મોત થયા હતા અને હજુ સુધી AAIB નો અંતિમ તપાસ અહેવાલ પણ જાહેર કરાયો નથી.
કાનૂની હક છીનવવાનો પ્રયાસ કે અંતિમ સમાધાન? બંને પક્ષોની દલીલો
રાધિકા રૂપાણીના મતે, આટલા મોટા આઘાત અને માનસિક વેદનાના સમયે પીડિત પરિવારો પાસેથી કાનૂની આશ્રય મેળવવાનો હક છીનવવાનો પ્રયાસ તદ્દન ખોટો છે. બીજી તરફ, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર એર ઇન્ડિયાએ દબાણના આ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીનું કહેવું છે કે, તેઓ માત્ર એટલું જ સુનિશ્ચિત કરવા માંગે છે કે એકવાર અંતિમ વળતર ચૂકવાઈ ગયા પછી આ સમાધાન કાયમી રહે, જેથી ભવિષ્યમાં કંપની સામે કોઈ પરોક્ષ દાવા ન થાય. આ દરમિયાન, 12 જૂને AAIB દ્વારા સત્તાવાર અહેવાલ પ્રકાશિત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
એર ઇન્ડિયા દ્વારા રૂ. 25 લાખનું વચગાળાનું વળતર અને તેની સ્થિતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં પ્રિયજનો ગુમાવનારા પરિવારોની તાત્કાલિક આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે એર ઇન્ડિયાએ પ્રત્યેક પરિવારને ₹25 લાખના વચગાળાના વળતરની ઓફર કરી હતી. આ ઓફર હેઠળ 96% પીડિત પરિવારોને ચૂકવણી કરી દેવામાં આવી છે. બાકીના કિસ્સાઓમાં કાગળો અધૂરા હોવા અથવા પારિવારિક વિવાદો જવાબદાર છે. આ ઉપરાંત, જમીન પર ઘાયલ થયેલા 94% લોકોને પણ ઇજાની ગંભીરતા અને આજીવિકાના નુકસાનના આધારે સંપૂર્ણ અથવા વચગાળાનું વળતર મળી ચૂક્યું છે.
મુસાફરોના સામાન અને ડિજિટલ ઉપકરણોની રિકવરી તેમજ વહેંચણી
એરલાઇનના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી મુસાફરોનો 22,000 થી વધુ વ્યક્તિગત સામાન ખૂબ જ કાળજીપૂર્વક સાચવીને તેની યાદી બનાવવામાં આવી હતી. અકસ્માતમાં માર્યા ગયેલા 187 લોકોમાંથી 139 લોકોનો સામાન ભારત અને યુકેમાં તેમના પરિવારોને પરત સોંપવામાં આવ્યો છે. આ સિવાય સ્માર્ટફોન અને લેપટોપ જેવા 25 ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા હતા, જેમાંથી તપાસ એજન્સીઓની મંજૂરી બાદ 16 ઉપકરણો પરિવારોને સોંપી દેવાયા છે. બાકીના કેસોમાં દસ્તાવેજો ખૂટે છે અથવા પરિવારોએ સામાન સ્વીકારવાની ના પાડી છે.
ટાટા ગ્રૂપના વડાઓની પરિવારો સાથે મુલાકાત અને રૂપાણી પરિવારની સ્થિતિ
એર ઇન્ડિયા હવે ટાટા ગ્રૂપની માલિકીની કંપની છે, જેનું નેતૃત્વ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન કરી રહ્યા છે. અકસ્માત બાદ ટાટા કંપનીઓના સીઈઓ દ્વારા ભારત અને યુકેના 165 અસરગ્રસ્ત પરિવારોમાંથી 152 પરિવારોની રૂબરૂ મુલાકાત લઈને સાંત્વના પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઘટનાના દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડનમાં રહેતા તેમની પુત્રી રાધિકાને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી, જ્યારે તેમના પત્ની અંજલિબેન રૂપાણી તે સમયે લંડનમાં જ હાજર હતા.
