રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 મે 2022 (12:02 IST)

કર્મચારી માટે હિતલક્ષી નિર્ણય: રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરાયો

bhupendra patel
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
 
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
 
તદઅનુસાર પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૧૨૧૭.૪૪ કરોડનું નાણાકીય ભારણ વધશે.