શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (18:13 IST)

ગુજરાતમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ

ગુજરાતમાં એક મહિના પહેલા વરસાદ ન પડવાને કારણે મોટાભાગના જળાશયો સુકાય ગયા હતા. ખેડૂતો સાથે સરકારને પણ લોકોને પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી તેની ચિંતા હતી.  દુકાળ લગભગ બારણે જ ઉભો હોય એવો ડર હતો. કારણ કે આખો શ્રાવણ મહિનો સુકો વીતી ગયો હતો. પરંતુ ભાદરવો મહિનો આવતા જ મેઘરાજાએ જે રીતે ધમાકેદાર એંટ્રી કરી તેનાથી બધુ જ ટેન્શન બાજુ પર મુકાય ગયુ છે. હવે ઉપરથી સૌરાષ્ટ્રમાં તો પુર આવે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. 
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી તારીખ 15,17 અને 22ના રોજ ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં સારો વરસાદ થવાની પણ શક્યતા છે.
સૌરાષ્ટ્રનાં રાજકોટ, જુનાગઢ, જામનગરમાં સ્થાનિકોનાં હાલ બેહાલ છે અને કેટલાય ગામોમાં સંપર્ક થઈ રહ્યો નથી ત્યારે સૌરાષ્ટ્રનાં સાત જિલ્લાઓમાં આજના દિવસ માટે ભારે વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 
 
કેટલીક જગ્યાએ તો રસ્તા પર પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ હતી. દિવસભર ધોધમાર વરસાદ પડતા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી. ભારે વરસાદથી જનજીવનને અસર પડી છે.  શહેરમાં મોટાભાગના ધંધા-રોજગાર બંધ જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રાજકોટનું પોપટપરા નાળું બંધ કરાયું હતું. તો રેલનગર અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો. અહીં બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેથી કોઈ અહીંથી પસાર ન થાય. રેલનગરનું અંડરબ્રિજ બંધ થતાં આસપાસની અનેક સોસાયટીઓ સંપર્કવિહોણી બની છે.