શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (20:26 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’

અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ મૂલાકાત નડાબેટ જઇને કરી હતી. પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરૂવારે સવારે નડાબેટ પહોચ્યા હતા અને નડેશ્વરી માતાના ભાવપૂર્વક દર્શન-પૂજન કરી તેમની મૂલાકાતનો પ્રારંભ કર્યો હતો.
સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને આગામી ૧૫ ઓગસ્ટ-ર૦૨૧ પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે. આ પ્રોજેકટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમે નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરી છે. એટલું જ નહિ, નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ચાર ફેઇઝમાં હાથ ધરાઇ રહ્યા છે.
મુખ્યમંત્રીએ આ કામોમાં ફેઇઝ-૧ના કામો જે અંદાજે રૂ. ૨૩ કરોડના ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ પ્રવાસન મંત્રી સાથે બીજા ફેઇઝના કુલ ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.
 
આ બીજા ફેઇઝના કામોમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટના કામો હાલ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ મૂલાકાત દરમ્યાન પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશે.
એટલું જ નહિ, આ સ્થળની મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસન પ્રવૃત્તિ વધતાં સ્થાનિક રોજગારીની તકોનું પણ સર્જન થશે.
 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૦૧૬ના ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં નડાબેટ ખાતેના આ બોર્ડર સિકયુરિટી ફોર્સના ઝીરો પોઇન્ટને સીમાદર્શન તરીકે ખૂલ્લો મૂકીને તેને બોર્ડર ટૂરિઝમની આગવી ઓળખ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સીમાદર્શન કાર્યક્રમ અન્વયે રાજ્યના અને રાજ્ય બહારના પ્રવાસન પ્રેમીઓને નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સિમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.
ભારત-પાકિસ્તાન બોર્ડરની મૂલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરીમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહિ આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દૃશ્યો અહિં સર્જાય છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર સ્થાનને બોર્ડર ટૂરિઝમ તરીકે વિકસાવવા માટે પ્રવાસન વિભાગને પ્રેરિત કરતાં રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ, પ્રવાસન વિભાગ અને સીમાસુરક્ષા દળના સંકલનમાં આ પ્રવાસન સ્થાનનો બહુવિધ વિકાસ થઇ રહ્યો છે.
તદઅનુસાર ફેઇઝ-૧માં જે કામો હાથ ધરાયા છે તેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે. નડેશ્વરી મંદિરની સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ રૂટ ઉપર ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી આ પ્રવાસન વિકાસ કામો ૪ ફેઇઝમાં હાથ ધરાવાના છે. આ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા ૧૪ જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી પણ સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરવામાં આવી છે.
 
સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ આપણા સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, T-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બધી જ પ્રગતિ હેઠળની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
 
આ પ્રસંગે નડાબેટ ખાતે સાંસદ પરબતભાઇ પટેલ, સાંસદ દિનેશભાઇ અનાવડિયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા અને કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, પદાધિકારીઓ, પ્રવાસન નિગમના એમ.ડી. જેનુદેવન, આઇ.જી. બી.એસ.એફ. ગુજરાત ફ્રન્ટીયર મલિક, જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દહિયા તેમજ અગ્રણીઓ જોડાયા હતા.