1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 માર્ચ 2022 (09:12 IST)

મુખ્યમંત્રી વડનું વૃક્ષ ઉગાડી ‘નમો વડ વન’ અભિયાનની કરી શરૂઆત, રાજ્યમાં ૩૩ જિલ્લામાં ૭પ સ્થળોએ ઉભાં કરાશે

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષના વિશ્વ વન દિવસ ર૧ માર્ચે ગુજરાતની દેશ માટે દિશાસૂચક પહેલ - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ‘નમો વડ વન’ સ્થાપનાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો  હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રિય વડ વૃક્ષના ‘નમો વડ વન’ રાજ્યમાં ૩૩ જિલ્લામાં ૭પ સ્થળોએ ઉભાં કરાશે. પ્રત્યેક ‘નમો વડ વન’માં ૭પ વડવૃક્ષ વાવેતર દ્વારા પર્યાવરણ શુદ્ધિ-સ્વચ્છ હવા-કુદરતી ઓક્સિજન મેળવવાની નેમ સાકાર થશે 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગુજરાતે પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં વન સાથે જન જોડી વન મહોત્સવો દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધાર્યુ છે . રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષોમાં ૬૯૦૦ હેક્ટરની વૃદ્ધિ થઇ છે. ર૦૦૩માં રાજ્યમાં વન વિસ્તાર બહાર ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતાં ર૦ર૧માં વધીને ૩૯.૭પ કરોડ થયા છે. વડનું વૃક્ષ રાષ્ટ્રિય વૃક્ષ છે અને પૌરાણિક મહત્વ ધરાવતું વટવૃક્ષ અક્ષય વડ કહેવાય છે. વૃક્ષો-વનોથી પ્રકૃતિના જતન દ્વારા વાતાવરણ શુદ્ધિ જેમ જ માનવ આરોગ્ય-સ્વસ્થતા માટે રાસાયણિક ખાતરમુકત પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાનું સ્વાસ્થ્ય સુધારીએ. 
 
વન મહોત્સવ દ્વારા આપણે વધુને વધુ વૃક્ષો વાવી ગ્રીન કવર વધારવાનો માર્ગ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં ‘નમો વડ વન’ અંતર્ગત આવા વડ વૃક્ષોના જંગલો પર્યાવરણની જાળવણી અને સ્વચ્છ હવાનું સ્ત્રોત બનશે. તેમણે ગુજરાતમાં વન સંસાધનોના સંરક્ષણ માટે લોકો દ્વારા લેવાયેલા પગલાંની પ્રશંસા કરી હતી.
 
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા 2021ના અહેવાલ મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં વૃક્ષોના કવર વિસ્તારમાં 6900 હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં 2003માં જંગલ વિસ્તારની બહાર અંદાજિત 25.10 કરોડ વૃક્ષો હતા, જે હવે વધીને 2021ની વસ્તી ગણતરી મુજબ 39.75 કરોડ વૃક્ષો થઈ ગયા છે. વૃક્ષો અને જંગલોના સંરક્ષણની પ્રથા, જેના પર પૃથ્વી પરના સમગ્ર ઇકોસિસ્ટમનું અસ્તિત્વ નિર્ભર છે, તે આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. તેમણે કહ્યું કે, વન પેદાશો એ જંગલ વિસ્તારમાં રહેતા વનવાસીઓના જીવનનો આર્થિક આધાર છે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે તે વનવાસીઓને આત્મનિર્ભર બનાવવા પડશે.