1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 મે 2022 (15:25 IST)

વાંસના જંગલ સાચવનારાઓ ને વળતર, વાંસ વનોની કટાઈથી ૮ લાખ જેટલા બાંબુ પોલ્સ મળ્યા

જંગલ એ દેશ,રાજ્ય અને સમાજની સંપદા છે.તેના ઉછેર,વિસ્તાર અને રક્ષણની જવાબદારી આમ તો વન વિભાગની છે.પણ લોક સહયોગ વગર આ ભગીરથ કામ અશક્ય છે.જે લોકો જંગલને સાચવે છે,જંગલ એમને સાચવે છે.આ ઉક્તિને સાર્થક કરતી એક ઘટના હાલમાં છોટાઉદેપુર ના આરક્ષિત વન વિસ્તારમાં ઘટી રહી છે.
 
આ ક્ષેત્રની નવ જેટલી રેન્જ હેઠળના કેટલાક વિસ્તારમાં સઘન વાંસ વનો આવેલા છે.હાલમાં આ વાંસ વનોના જે પાકટ કે પરિપક્વ થઈ ગયાં છે તેવા વાંસની,આ સંપદાને સાચવનારી વન મંડળીઓના સહયોગ થી કટાઈ કરવામાં આવી રહી છે.તેનાથી અંદાજે ૮ લાખ જેટલા કિંમતી વાંસ દંડા એટલે કે બાંબૂ પોલ (સ્થાનિક ગામઠી ભાષામાં કહીએ તો વાંહડા) મળશે એવો અંદાજ છે.
 
આ પૈકી ૩ લાખ જેટલા બાંબુ પોલ્સ,આ જંગલને સાચવીને ઉછેરનારી અને તેનું રક્ષણ કરનારી ૧૯ જેટલી સહભાગી વનીકરણ મંડળીઓના સદસ્યો ને અગ્રતા ક્રમે અને તે પછી મંડળીઓ ના ગામોના લોકોને જરૂર અને ઉપલબ્ધિ પ્રમાણે વિતરણ કરવાનું આયોજન નાયબ વન સંરક્ષક શ્રી વિષ્ણુભાઇ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને હાલમાં વિતરણ ચાલુ છે.
 
આ વિતરણનો આશય જેઓ વાંસમાં થી ઘર અને ખેતી ઉપયોગી વસ્તુઓ બનાવે છે તેમને સરળતા કરી આપીને પૂરક આવક - રોજગારી આપવાનો અને જેમને અન્ય ઘરેલુ ઉપયોગ માટે વાંસની જરૂર છે તેમને તે ઉપલબ્ધ કરાવવાનો છે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રી વિષ્ણુભાઇ દેસાઈએ જણાવ્યું કે જંગલમાં જે વાંસ પરિપક્વ થઈ ગયાં હતાં તેમની,આ વાંસ વનોના રક્ષણ અને ઉછેરમાં યોગદાન આપનારી મંડળીઓની મદદ થી યોગ્ય રીતે કટાઈ અને સંગ્રહ કરવામાં આવ્યો છે.અને હવે નિયમો પ્રમાણે આ વાંસમાંથી નિર્ધારિત પ્રમાણમાં બાંબુ પોલ્સ,સંબંધિત મંડળીઓ ને અને તેમના માધ્યમ થી તેના સદસ્યોને આપવામાં આવી રહ્યાં છે.ઉપલબ્ધિ પ્રમાણે સંબંધિત મંડળીઓના ગામોના ગામલોકો,જે આ મંડળીના સદસ્ય નથી પણ જેમને વાંસની જરૂર છે તેમને પણ આપવાનું આયોજન છે.વાંસ વનોની સાંચવણીમાં યોગદાનના ઈનામ તરીકે આ વાંહડા લાભાર્થીઓને વિનામૂલ્યે મળશે.
 
છોટાઉદેપુરના આરક્ષિત જંગલ વિસ્તારમાં ૩૫૨ જેટલી સહભાગી વનીકરણ મંડળીઓ છે જે પૈકી ૧૯ જેટલી મંડળીઓ વાંસ વનો સાથે જોડાયેલી છે અને તેના સદસ્યોને આ લાભ મળશે તેવી જાણકારી આપતાં કેવડીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવાએ જણાવ્યું કે નિયમ મુજબ વાંસ કાપવા અને ગોડકામ કરવાથી નવા પિલા ( કોપીસ) ઉગે છે જેમાં થી વાંકા ચુંકા ન હોય તેવા સીધા દંડા વધુ સંખ્યામાં મળે છે.વાંકા ચૂકા ઉગેલા વાંસની ઉપયોગિતા ઓછી હોય એટલે સમયાંતરે આ કવાયત કરવામાં આવે છે.વાંસ વનોના રક્ષણમાં આ મંડળીઓ નો ફાળો ખૂબ મહત્વનો છે.જંગલ તેનું જતન કરનારાઓ ને શિરપાવ કે ઈનામ આપે એવી આ ઘટના છે જે પુરવાર કરે છે કે, જે જંગલને સાચવે છે એને જંગલ સાચવે છે