1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (12:41 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ આંચકો, હવે આ નેતાએ છોડ્યો હાથનો સાથ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા રહેલા દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું હતું. છેલ્લા ઘણા દિવસોથી દિનેશ શર્માનો સ્વર બળવાખોર હતો અને તેઓ સતત પાર્ટીના ગુજરાત યુનિટના નેતૃત્વ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. દિનેશ શર્માએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને પ્રભારી પર પણ આરોપ લગાવ્યા હતા. અગાઉ, કોંગ્રેસના ગુજરાત એકમના પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમાર મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પરમારે દાવો કર્યો હતો કે તેઓ કોઈપણ પદની અપેક્ષા વિના સત્તાધારી પક્ષમાં જોડાયા હતા.
 
જયરાજસિંહ પરમારે 17 ફેબ્રુઆરીએ કોંગ્રેસ છોડી દીધી હતી. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસે તેમને લાંબા સમય સુધી નજરઅંદાજ કર્યા. જયરાજસિંહ પરમાર તેમના સમર્થકો સાથે મંગળવારે ભાજપમાં જોડાયા હતા. તે જ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ અને અન્ય ઘણા નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા.
 
મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠક પરથી બે વખત જીતેલા પૂર્વ ધારાસભ્યએ 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે, કોંગ્રેસે તેમને 2017ની ચૂંટણીમાં ટિકિટ આપી ન હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ કોઈપણ અપેક્ષા વગર ભાજપમાં જોડાઈ રહ્યા છે.
 
આ સાથે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ, રાકેશ ગોસ્વામી અને AICCના પૂર્વ પ્રતિનિધિ પ્રશાંત પરમાર પણ ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઈસનપુર વોર્ડના પ્રમુખ ગીરીશ સોની અને સૈજપુર-બોઘા વોર્ડની મહિલા પાંખના પ્રમુખ દર્શના રાઠોડ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ગાંધીનગરના માણસા શહેરમાંથી સામાજિક કાર્યકર ક્રિપાલસિંહ ચાવડા અને ધર્મગુરુ ગિરનારી બાપુ પણ ભાજપમાં જોડાયા હતા.