1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (12:00 IST)

ખાણમાંથી નિકળેલો 60 લાખ ટન કોલસો રસ્તામાંથી ગાયબ, અધિકારી-વેપારીઓએ કરી 6,000 કરોડની કણાણી

ગુજરાતમાં અંદાજે 6000 કરોડ રૂપિયાનું કોલસા કૌભાંડ સામે આવ્યું છે. એક ગુજરાતી સમાચારપત્રના રિપોર્ટ અનુસાર છેલ્લા 14 વર્ષમાં રાજ્યના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને કોલસો આપવાને બદલે બીજા રાજ્યના ઉદ્યોગોને ઉંચા ભાવે વેચીને રૂ.5 હજારથી 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું છે. 
 
કોલ ઈન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી કાઢવામાં આવેલો કોલસો તે ઉદ્યોગો સુધી પહોંચ્યો ન હતો જેના માટે તે કાઢવામાં આવ્યો હતો. ગુજરાતી સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર સરકારી વિભાગના અધિકારીઓ, કોલસા ટ્રાંસપોર્ટ વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓ પાસેથી કોલસો ગાયબ થવાની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે બધાએ 'નો કોમેન્ટ' કહીને મૌન સેવ્યું હતું.
 
પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં કોલ ઈન્ડિયાની ખાણોમાંથી ગુજરાતના વેપારીઓ અને નાના ઉદ્યોગોના નામે 60 લાખ ટન કોલસો મોકલવામાં આવ્યો છે. તેની સરેરાશ કિંમત રૂ. 1,800 કરોડ પ્રતિ ટન રૂ. 3,000 છે, પરંતુ વેપારીઓ અને ઉદ્યોગોને વેચવાને બદલે અન્ય રાજ્યોમાં રૂ. 8 થી 10 હજાર પ્રતિ ટનના ભાવે વેચીને તેનું કાળાબજાર કરવામાં આવ્યું છે.
 
તેમાં કેટલીક ડમી અથવા ગુમ એજન્સીઓ અને ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓની મિલીભગત છે. જ્યારે કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલયના સચિવ અનિલ જૈન સાથે આ અંગે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે કોલસો રાજ્ય સરકાર (SNA) દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીઓને આપવામાં આવે છે. તે પછી અમારો રોલ પૂરો થાય છે. બીજી તરફ કોલ ઈન્ડિયાના ડિરેક્ટર સત્યેન્દ્ર તિવારીએ કહ્યું કે એજન્સીઓની નિમણૂક કરવાની જવાબદારી રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની છે. આ અંગેની કોઈપણ બાબત રાજ્યના ગૃહ વિભાગના ધ્યાન પર લાવવામાં આવે. આમાં જરૂરી પુરાવા પણ સામેલ કરવા જોઈએ.
 
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આટલા મોટા કૌભાંડને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો. તેના કેન્દ્રમાં તે નિતી છે, જે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2007માં દેશભરના નાના ઉદ્યોગોને પરવડે તેવા દરે સારી ગુણવત્તાનો કોલસો પૂરો પાડવાની નીતિ ઘડવામાં આવી હતી. તેનો અમલ 2008માં થયો હતો. આ નીતિ હેઠળ, ગુજરાતના નાના ઉદ્યોગો માટે કોલ ઈન્ડિયાના વેસ્ટ કોલ ફિલ્ડ અને સાઉથ-ઈસ્ટ કોલ ફિલ્ડમાંથી દર મહિને કોલસો કાઢવામાં આવે છે.
 
આ પહેલા ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા કોલ ઈન્ડિયાને જરૂરી કોલસાના જથ્થા સહિતની વિગતોની યાદી મોકલવામાં આવે છે. આ સાથે સ્ટેટ નોમિનેટેડ એજન્સી (SNA) ની યાદી પણ છે. SNA એટલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ એજન્સી, જે રાજ્યના લાભાર્થીઓ, નાના પાયાના ઉદ્યોગો, નાના વેપારીઓને કોલ ઇન્ડિયામાંથી કોલસો લેવા માટે અધિકૃત છે. આ કામના બદલામાં, આ એજન્સી પરિવહન અને કોલસાના ખર્ચના 5%ના દરે સર્વિસ ટેક્સ વસૂલ કરી શકે છે. ત્યારબાદ એજન્સી આ વેપારીઓ અથવા નાના ઉદ્યોગોને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે વાર્ષિક 4,200 ટન કે તેથી ઓછો કોલસો સપ્લાય કરે છે.
 
ગુજરાત સરકાર વતી કોલ ઈન્ડિયાએ કોલસાના લાભાર્થી ઉદ્યોગોની યાદી, કોલસાનો જરૂરી જથ્થો, કઈ એજન્સી પાસેથી કોલસો મોકલવામાં આવશે સહિતની તમામ માહિતી મોકલવાની રહેશે. ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સી, ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસિએશનના ડિરેક્ટર અલી હસનૈન દોસાનીએ જણાવ્યું હતું કે અમે અમારો મોટાભાગનો કોલસો દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગોને સપ્લાય કરીએ છીએ. દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના જીતેન્દ્ર વખારિયાનો સંપર્ક કર્યો હતો, પરંતુ વખારિયાએ કહ્યું હતું કે, 'હું 45 વર્ષથી આ બિઝનેસમાં છું. આવી યોજના હેઠળ ક્યારેય કોઈ પ્રકારનો કોલસો મળ્યો નથી.
 
દસ્તાવેજોમાં કોલ ઇન્ડિયામાંથી જે ઉદ્યોગોના નામે કોલસો કાઢવામાં આવ્યો હતો તે ઉદ્યોગો સુધી પહોંચ્યો ન હતો. શિહોરના ઉદ્યોગમાં જય જગદીશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝને લાભાર્થી તરીકે દર્શાવવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીઝના જગદીશ ચૌહાણે કહ્યું, 'મને એ પણ ખબર નથી કે અમને સરકાર તરફથી કોઈ કોલસો મળે છે. હજુ સુધી આ અંગે અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી. અમે સ્થાનિક બજારમાંથી કોલસો ખરીદીએ છીએ.
 
ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીઓની તપાસ કરી તો મોટો ગોટાળો સામે આવ્યો. એજન્સીઓએ આપેલા સરનામામાં તે નામની કોઈ સંસ્થા નથી. નોંધાયેલ ઓફિસનું સરનામું પણ ખોટું છે.
 
ગુજરાત કોલ કોક ટ્રેડ એસોસિએશન નામની એજન્સીએ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં તેની ઓફિસનું સરનામું આપ્યું છે. ત્યાં જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં કોઈ ટ્રેડ એસોસિએશનની ઓફિસ નથી, પરંતુ એક ટ્રેડિંગ એજન્સી 'બ્લેક ડાયમંડ' ચોક્કસ કામ કરી રહી છે. તે કોલસાના વેપાર સાથે પણ જોડાયેલી છે. એજન્સીના માલિક હસનૈન અલી દોસાણીએ જણાવ્યું હતું કે, અમે કોલસાનો સમગ્ર જથ્થો દક્ષિણ ગુજરાતના વેપારીઓને વેચીએ છીએ. સૌરાષ્ટ્ર બ્રિકવેટિંગ જેનું સરનામું સીજી રોડ પર દર્શાવાયું છે, પરંતુ ત્યાં તપાસ કરતાં ટ્રાવેલ એજન્સીની ઓફિસ જોવા મળે છે.
 
કોલ ઈન્ડિયામાં ટોચના હોદ્દા પર રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત સરકારે વાસ્તવમાં કોલ ઈન્ડિયાને સંપૂર્ણ માહિતી આપવાની હોય છે, પરંતુ રાજ્ય સરકાર આ મામલે ટાળી રહી છે. 
 
એજન્સીઓ દર વર્ષે કોલ ઈન્ડિયામાંથી ગુજરાતના લાભાર્થી ઉદ્યોગોના નામે કોલસો ખરીદે છે, પરંતુ અહીં એજન્સીઓ લાભાર્થીઓને આપવાને બદલે ખુલ્લા બજારમાં ઊંચા ભાવે કોલસો વેચીને અબજો રૂપિયાની કમાણી કરે છે. શક્ય છે કે એજન્સીઓએ આ ગેમ માટે નકલી બિલ બનાવ્યા હોય અને ઇન્કમટેક્સ, સેલ્સ ટેક્સ અને GSTની પણ ચોરી કરી હોય.
 
કોલ ઈન્ડિયાની વેબસાઈટએ કોલસાના વિતરણ અને પુરવઠામાં પારદર્શિતા માટે સચોટ અને પ્રમાણિત માહિતી પ્રદાન કરવાની હોય છે. આવા કોલસાને અન્ય રાજ્યોમાં લાવવાનું કામ સંબંધિત રાજ્ય દ્વારા તેના પોતાના વિભાગને સોંપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં વર્ષોથી કેટલીક પસંદગીની એજન્સીઓની જ નિમણૂક કરવામાં આવી છે.