1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2023 (11:34 IST)

ગાંધીનગરમાં મોડી રાત્રે અકસ્માત, પાંચ પિતરાઈ ભાઈઓનાં મોત

Five cousins ​​killed in late night accident in Gandhinagar
Five cousins ​​killed in late night accident in Gandhinagar
ગાંધીનગરમાં રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર સ્વીફટ ગાડીના ચાલકે પોતાની કારના સ્ટિયરિંગપર પરનો કાબુ ગુમાવી દેતાં કાર રોડની નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત થતા પાંચ પિતરાઈ ભાઈના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોવા ગયા હતા. જે બાદ પરત ફરતી વખતે તેઓને અકસ્માત નડ્યો હતો. આ અંગે પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
મહેસાણા જિલ્લાના ખેરાલુ હાટડીયા ખાટકી વાસમાં રહેતાં શાબીરહુસૈન ઇબ્રાહીમભાઈ ડેલીગર(બેલીમ) રીક્ષા ડ્રાઇવીગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમને સંતાનમાં એક દીકરી અને બે દિકરા છે. તેઓનો દિકરો મોહમ્મદ અલફાઝ આશરે અઠવાડિયા અગાઉ માણસા ખાતે તેના મામાના ઘરે રહેવા માટે આવ્યો હતો. ગઈકાલે આશરે રાત્રીના સાડા બારેક વાગ્યે શાબીરહુસૈન જમી પરવરીને સુઇ ગયા હતા અને રાત્રીના બે વાગ્યે તેમના ભત્રીજા જાવેદે ઘરે જઈને જાણ કરેલી કે, મોહમદ અલ્ફાઝનું પેથાપુર ખાતે અકસ્માત થયો છે. જે હાલ સિવીલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે છે. આ સાંભળી શાબીરહુસૈન તાબડતોબ સિવિલ દોડી ગયા હતા. જ્યાં પીએમ રૂમમાં મોહમદ અલ્ફાઝની લાશ જોઈને ફસડાઈ પડ્યા હતા.જ્યાં તેમનો સાળો મોહમદ મુશ્તાક તથા બીજા સંબંધીઓ હાજર હતા. જેમણે જણાવ્યું કે, ગઈકાલે સાંજના આશરે આઠેક વાગે શાબીરહુસૈનનાં મામા સસરાનો છોકરો સાહિલ નસીરુદ્દીનભાઇ ચૌહાણ (રહે,માણસા ખાટકી વાસ) પોતાની સ્વીફટ ગાડીમાં મોહમદ અલ્ફાઝ, સલમાન કાસમભાઇ ચૌહાણ (રહે,હિંમતનગર), અસપાક શબ્બીરભાઇ ચૌહાણ (રહે,માણસા ખાટકી વાસ), મહોમદ સાજેબ સલીમભાઇ બેલીમ તથા શાહનવાબ કાસમભાઇ ચૌહાણ પેથાપુર ખાતે ફિલ્મ જોવા માટે ગયા હતા.આ અકસ્માતમાં મોહમદ અલ્ફાઝ તથા તેની સાથેના ઉપરોક્ત વ્યકિતઓ પૈકી શાહનવાબ કાસમભાઇ ચૌહાણ સિવાય તમામ પાંચેય ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યા હતા. તેમજ શાહનવાબ કાસમભાઇ ચૌહાણ હાલ અર્ધ-બેભાન હોઈ અમદાવાદ સિવિલ ટ્રાન્સ્ફર કરેલ છે. આ બનાવની જાણ થતાં જ પેથાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.