શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2019 (09:15 IST)

જાણો ગુજરાતમાં શું છે નશાબંધીના નિયમો, કેટલી થઇ શકે છે સજા

ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં દારૂબંધીના ચૂસ્ત અમલ માટે રાજય સરકારે ઝીરો ટોલરન્સની નિતિ અખત્યાર કરી છે. રાજય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિ અને પોલીસ વિભાગની સતર્કતાને કારણે રાજયમાં દારૂબંધીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજયના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પડોશી રાજયોમાંથી ધુસાડાતા દારૂ સંદર્ભે પણ ૨૪ કલાક મોનીટરીંગ કરીને ચાપતી નજર રાખવામાં આવી રહી છે. 
 
ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, યુવાનો નશા તરફ પ્રેરાય નહીં તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નશાબંધીના કાયદામાં પણ યોગ્ય સુધારાઓ કરી કાયદાને વધુ કડક અને મજબૂત બનાવ્યો છે કે જેથી ગુનેગારો સરળતાથી છૂટી શકે નહીં. જેના પરિણામે રાજ્યમાં ઘણી સફળતા પણ મળી રહી છે. સાથે સાથે રાજ્ય સરકારે હુક્કાબારમાં પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મુક્યો છે. જેના પરિણામે યુવાનો નશામાંથી મુક્ત બન્યા છે. 
 
રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS)  દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ રાજય સરકારે પ્રતિબંધ મુકયો છે. આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરાયો છે. હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.   
 
ગુજરાતના પડોશી રાજયોમાંથી બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે દારૂ ધુસાડવાના મોટાભાગના પ્રયાસો રાજયના પોલીસ તંત્રની સર્તકતા અને સઘન પેટ્રોલીંગના કારણે નાકામ નિવડતા છાસવારે દારૂનો જથ્થો પકડાવાના બનાવો બનતા હોય તે રાજયની નશાબંધીના કડક કાયદાના અસરકારક અમલની પ્રતિતિ કરાવતું હોવાનું ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. રાજયમાં દારૂબંધી આભાસી નહી પરંતુ તેનો કડક રીતે અમલ થતો હોવાથી દારૂનો જથ્થો પકડાવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તે રાજયના પોલીસ તંત્રની અસરકારક કામગીરી વ્યક્ત કરે છે. 
 
મંત્રી જાડેજાએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સંપૂર્ણપણે નશાબંધીને વરેલું રાજય છે. રાજય સરકારે નશાબંધી ધારાના ચુસ્ત અમલ માટે કડક નિયમો અમલી બનાવ્યા છે, જેમાં.....
(૧) દારૂના ઉત્પાદન, ખરીદ- વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજામાં વધારો - ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂા. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ.
(ર)  દારૂના અડ્ડાના સંચાલકને કે તેના મદદગારને ૧૦ વર્ષ સુધીને કેદ અને રૂા. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ.
(૩) દારૂ પીને જાહેરમાં દંગલ કરનારા, મહિલાઓની છેડતી કરનાર સામે વધુ કડક કાયદો, હવે ૩ વર્ષ સુધીની કેદની જોગવાઇ.
(૪) ગુનેગારોને નાસી જવામાં મદદગારી કરનાર અધિકારીને પણ ૭ વર્ષ સુધીની કેદ અને રૂા. ૧ લાખ સુધીનો દંડની અથવા બન્ને શિક્ષા, તેમજ  
(૫)  કોઇ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરવા બદલ ૫ વર્ષ સુધી કેદ અને ૫ લાખ કરતા ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરવામાં આવી છે. 
 
ગુજરાતના પડોશી રાજયોમાંથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની પ્રવૃતિને ડામવા માટે રાજય સરકારે બે મહત્વના પગલા લીધા છે. જેમાં દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનો બૂટલેગરો અદાલતમાંથી પણ ન છોડવી શકે તે માટે કાયદામાં કડક જોગવાઇ દાખલ કરી છે. દારૂબંધીનો કાયદો કડક કર્યા બાદ વર્ષ- ૨૦૧૭ અને ર૦૧૮ માં અંદાજિત રૂા. ૩૭૧ કરોડની કિમંતના ૨૨,૦૦૦ થી પણ વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયા બાદ બૂટલેગરો આ પ્રકારના ગુના ફરી ન કરે તે માટે તેઓની સંપતિ ટાંચમાં લેવા મની લોન્ડરીંગના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. 
 
નશાંબધીના કડક અમલ માટે કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલને વધુ અસરકારક અને સક્રિય કરવામાં આવ્યું છે. ૨૪ કલાક સતત કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલના ટોલ ફ્રી નંબર ઉપર કોઇપણ નાગરિક દારૂ અને જૂગારની માહિતી આપી શકે છે. તેની પોલીસ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જાન્યુઆરી-૨૦૧૮થી જૂન-૨૦૧૯ દરમીયાન ૪૫૩ જેટલા દારૂના ગુના શોધીને ૧૩ કરોડથી વધુનો દારૂ તથા  ૩૩૩ વાહનો સહિત કુલ-૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે.