1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (11:47 IST)

ગુજરાતના વિદ્યાર્થીઓએ પોલેન્ડ બોર્ડર પાસે માઇનસ 2 ડિગ્રીમાં આખી રાત પસાર કરી, કોઈ સહારો ન મળ્યો

યુક્રેનમાં પોરબંદર જિલ્લાના વધુ 3 છાત્રો ફસાયા છે. કુલ 10 વિદ્યાર્થીઓ  યુક્રેનમાં છે અને સલામત હોવાનું તંત્રએ જણાવ્યું છે. પોલેન્ડ બોર્ડર નજીક પહોંચેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે માઇનસ 2 ડિગ્રીમાં આખી રાત પસાર કરી છે. હજુ સુધી તો હાલાકી ભોગવી રહયા છે તેવું જણાવ્યું છે.રશિયાના યુક્રેન પરના હુમલા યુદ્ધમાં યુક્રેનમાં પોરબંદર જિલ્લાના 10 છાત્રો ફસાયા છે. જિલ્લા કલેટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, 10 છાત્રો માંથી 4 છાત્રો પૂર્વ યુક્રેનમાં કિવમાં છે જે જોખમી સ્થળ છે પરંતુ તેઓ પણ સલામત છે. પોરબંદરનો જયકીશન પરેશભાઈ ચંદારણા, એકતા વિજયભાઈ કુછડીયા, ભરત મુરુભાઈ ગોરાણીયા અને રાણાવાવનો હાર્દિક જોશી નામના ચારેય છાત્રો સાથે છે અને યુક્રેનમાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં છે. જ્યારે કુતિયાણાનો યશ સંજયભાઈ સૌંદરવા, સોઢાણા ગામનો હરભમ અરજનભાઈ કારાવદરા, વિજય માલદેભાઈ કારાવદરા, જયરાજ અરભમભાઈ કારાવદરા નામના છાત્રો યુક્રેન વેસ્ટર્નમા છે અને આદિત્યાણાનો પ્રયાગ હિતેશભાઈ લાડાણી અને પૂજાબેન કાનજીભાઈ ભુવા પોલેન્ડ બોર્ડર નજીક છે. આ છાત્રો સહિત રાજ્યના લોકોને ભારત લાવવા માટે યુક્રેનના પોલેન્ડ અને હંગેરી બોર્ડર સુધી બસ મારફત લાવવામાં આવી રહ્યા છે અને ત્યાંથી ફ્લાઇટ મારફત ભારત લાવવામાં આવશે. આ અંગે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ને માહિતગાર કરી તેઓને પરત લાવવા કાર્યવાહી હાથ ધરી છે. યુક્રેનમાં પોરબંદરના છાત્રો સાથે ટેલિફોનિક વાત કરી હતી અને ભારતીય એમ્બેસીની સૂચનાઓને અનુસરવા સલાહ આપી છે. આદિત્યાણા ગામનો પ્રયાગ લાડાણી ગઈકાલે પોલેન્ડ જવા બસમાં રવાના થયો હતો. પ્રયાગ સાથે સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે પોલેન્ડ બોર્ડર નજીક લાંબી કતારો છે. અહીં માઇનસ 2 ડિગ્રીમાં આખી રાત પસાર કરી છે. એમ્બેસી તરફથી કોઈ સહારો નથી. અહીં હાલાકી વેઠવી પડી રહી છે.