1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 11 જુલાઈ 2023 (18:36 IST)

Gujarat University Controversy- B.sc નર્સિગની પરીક્ષાની 30 ઉત્તરવહીઓ ગાયબ

Gujarat University
Gujarat University
 
ગઈકાલે નર્સિંગની પરીક્ષા બાદ બોટની ડિપાર્ટમેન્ટમાંથી 30 ઉત્તરવહીઓ ગાયબ થઈ હતી
 
ગાયબ થયેલી ઉત્તરવહી સવારે યુનિવર્સિટીમાં જમા થાય તે પહેલાં NSUIએ કૌભાંડનો પર્દાફાશ કર્યો
 
Gujarat University Controversy ગુજરાત યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે. થોડા સમય પહેલાં જ મેડિકલના વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યા બાદ હવે નર્સિંગની પરીક્ષા બાદ બોટની ડિપાર્ટમેન્ટમાંથી 30 ઉત્તરવહીઓ ગાયબ થતાં વિવાદ સામે આવ્યો છે. ગાયબ થયેલી ઉત્તરવહી સવારે યુનિવર્સિટીમાં જમા થાય તે પહેલાં NSUIએ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ બાબતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા ધ્યાનમાં વહેલી સવારે આ બાબત આવી હતી, જેથી મેં પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે પણ દોષિત સામે પગલાં લેવામાં આવશે. 
Gujarat University
Gujarat University
યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલ ઊભા થયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાં BSC નર્સિંગની ચોથા વર્ષની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાના પેપર રોજ ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે. આ પેપર ચકાસણી માટે આવ્યા એ અગાઉ જ મોડી રાતે સીસીટીવી કેમેરા બંધ કરાયા અને રાતે 30 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. આ ઉત્તરવહીમાં જવાબ લખીને સવારે પરત આવે એ પહેલાં જ NSUIના નેતાઓ દ્વારા યુનિવર્સિટીમાં ફરિયાદ કરી દેવાઈ હતી.કાલે પરીક્ષામાં હાજર હોય તેવા 14 વિદ્યાર્થીની ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી.સેન્ટરના કોઓર્ડિનેટર અને સિક્યોરિટી સ્ટાફની હાજરીમાં ઉત્તરવહી ગાયબ થતાં યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલ ઊભા થયા છે.
કોંગ્રેસ અને NSUIના નેતાઓ નજર રાખી રહ્યા હતાં
કોંગ્રેસ અને NSUIના નેતાઓ દ્વારા આ મામલે ગઈકાલથી નજર રાખવામાં આવી રહી હતી. રાતે ઉત્તરવહી જ્યારે ગાયબ થઈ ત્યારથી નેતાઓ બૉટની વિભાગની બહાર ઊભા રહી ગયા હતા. સવારના 6 વાગ્યાના નેતાઓ વિભાગની બહાર ઊભા રહીને ઉત્તરવહીમાં સાચા જવાબ લખીને પરત જમા ન થઈ એ માટે ઊભા હતા અને ઉત્તરવહી જમા થવા દીધી નહોતી. કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, મનીષ દોશી, પાર્થિવરાજસિંહ દ્વારા કુલપતિને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. 
 
આગામી દિવસમાં NSUI અને કોંગ્રેસ દ્વારા આંદોલન કરશે
આ અંગે કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિભાગમાં HOD લખે છે કે સીસીટીવી બંધ છે, જે શરમની વાત છે. હવે આ મામલે યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. યુનિવર્સિટીના અધિકારીઓ પણ સામેલ છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસમાં NSUI અને કોંગ્રેસ દ્વારા આંદોલન કરશે.