શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 ઑક્ટોબર 2018 (12:25 IST)

પ્રેમીપંખીડાની ચકચારી હત્યા કેસમાં 10 શખસોની ધરપકડ

ભાવનગર અને અમરેલી જિલ્લાની યુવક-યુવતીને પ્રેમસબંધમાં યુવતીના પરિવારજનોએ જીવતા સળગાવી માર્યાની સનસનીખેન ઘટનામાં પોલીસે મહુવાના ભાણવડ ગામના 10 શખસની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને ધારી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના ધારી તાલુકાના ગઢિયા ગામે રહેતા નિતેશભાઈ ભુપતભાઈ ખટડિયા નામના 22 વર્ષિય યુવાનને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાણવડ ગામે રહેતી પન્નાબેન મનુભાઈ ભુકણ નામની યુવતી સાથે આંખ મળી જતાં પ્રેમસબંધ બંધાયો હતો. બન્નેના પ્રેમ પ્રકરણની જાણ યુવતીના ઘરવાળાઓને થઈ જતાં બે માસ પહેલા યુવક નિતેશભાઈ ખટડિયાનું અપહરણ કરી ભાણવડ ગામેની સીમમાં લઈ જઈ ઝાડ સાથે બાંધી બેરહેમીથી માર માર્યા બાદ જીવતો સળગાવી દીધો હતો.
બીજી તરફ યુવકના પરિવારજનોએ ધારી પોલીસ મથકમાં ગુમ થયા અંગેની જાણ કરતા પોલીસે તપાસ આદરી હતી. જેમાં એક પછી એક તાર જોડાતા પોલીસની તપાસ છેક ભાણવડ ગામ સુધી લંબાઈ હતી અને ભાણવડ ગામેથી માનવ કંકાલ મળી આવતા યુવાન ગુમ નહીં પરંતુ તેને સળગાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગત સામે આવતા ધારી પોલીસે સુરેશ દડુભાઈ વાળા અને બાધુ રાબાભાઈ ભુકણ (રહે. ગઢિયા)ને દબોચી લઈ જીણવટભરી તપાસ આદરી હતી. પોલીસની તપાસમાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો હતો. જેમાં યુવતીના પરિવારજનોએ યુવકની હત્યા કર્યાના ત્રીજા દિવસે તેની યુવતી પન્નાબેનને પણ જીવતી સળગાવી નિર્મમ હત્યા કરી નાંખી હતી.