1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (15:17 IST)

મોઢવાડીયા સહિત અનેક કોંગી નેતાઓએ કરી હાર્દિક પટેલની મુલાકાત

પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે.હાર્દિકના ઉપવાસને લઈને પાસ નેતા નિખિલ સવાણીએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. સવાણીએ અરજી હાર્દિકના હેલ્થ મોનિટરિંગ માટે એમ્બ્યુલન્સ રાખવા માટે કરી છે. જેમાં કહ્યું છે કે, 24 કલાક હાર્દિકના નિવાસ સ્થાને એમ્બ્યુલન્સ રાખવી જરૂરી છે. હાર્દિકના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસને સમર્થન આપવા માટે આજે બપોરે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ આવી પહોંચ્યા હતા.

હાર્દિકે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં હાર્દિકનું વજન 900 ગ્રામ ઘટ્યું છે, જ્યારે તેણે બ્લડ-યુરિનના સેમ્પલ આપવા ઈન્કાર કરી દીધો છે. જ્યારે ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે હાર્દિકનું વજન 77.800કિલો ગ્રામ હતું અને ઉપવાસ આંદોલનના સાતમા દિવસે 5.900 કિલો ઘટીને 71.900 કિલો ગ્રામ થયું છે.31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ.