1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 માર્ચ 2018 (14:13 IST)

ગુજરાતમાં 1 લાખ વાહનવેરા ડીફોલ્ટરો પર ગાળીયો કસાવાની તૈયારી

દેશભરમાં હાલ બેંકોનાં લોન કૌભાંડનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. ત્યારે ગુજરાતમાં વાહન વેરામાં પણ હજારો ડીફોલ્ટરો હોવાનો ખુલાસો થયો છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા સોફટવેરની મદદથી વાહનવેરો ચુકવવામાં ડિફોલ્ટ થયેલી એકાદ લાખ લોકોની ઓળખ મેળવીને ગાળીયો કસ્યો છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો અને તેના થકી 97341 વેરા ડીફોલ્ટરો પાસેથી રીકવરી મેળવી હતી. જેના થકી કર વસુલાતમાં 21 ટકાનો વધારો શકય બન્યો છે.

ગત વર્ષે વાહન વ્યવહાર વિભાગની ફેબ્રુઆરી સુધીની આવક 277502 કરોડ હતી તે આ વર્ષે 577.49 કરોડ વધીને 3352.51 કરોડ પહોંચી છે. વાહન વ્યવહાર વિભાગનાં અધિક સચીવ વિપુલ મિત્રાએ કહ્યું કે વેરા ડીફોલ્ટરોના ગળા પકડીને બાકી વસુલાત કરવાની ઝુંબેશ થકી આવકમાં મોટો વધારો શકય બન્યો છે.જીએસટી અને મહેસુલી તંત્ર બાદ રાજય સરકારની તિજોરીમાં સૌથી વધુ કમાણી વાહન વ્યવહાર વિભાગની છે.મોટર વ્હીકલ ટેકસ, રજીસ્ટ્રેશન ફી, લાયસન્સ ફી, દંડ-પેનલ્ટી વગેરે મારફત વિભાગને આવક થાય છે. ગુજરાતમાં વાહનોની કુલ સંખ્યા 2.23 કરોડ છે અને વાહન વ્યવહાર વિભાગે એક કરોડથી વધુ વાહનો પર નજર કરી છે.આ વાહન ધારકોના ટેકસ સ્ટેટસ, વાહનની ફીટનેસ, વીમા વગેરે મુદ્દા ચકાસવામાં આવ્યા છે. નેશનલ ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ હેઠળના વાહન-4 સોફટવેરની મદદથી આ શકય બન્યુ છે.તમામ આરટીઓ કચેરીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરી દેવામાં આવ્યુ છે. ચેક પોસ્ટોને પણ આધુનિક ટેકનોલોજીથી સજજ બનાવવામાં આવી છે.વાહનવેરા ડીફોલ્ટરોને સરળતાથી પકડી શકાય તેવી વ્યવસ્થા છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં રાજયવ્યાપી ઝુંબેશના આધારે વાહન વેરા ડીફોલ્ટરો પાસેથી પાંચ કરોડ વસુલવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ મહિનામાં 45000 વાહન ચાલકો પાસેથી 100 કરોડની વસુલાત થઈ છે.