1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:27 IST)

ગુજરાતમાં 3,243 સેશન દ્વારા 13,619 બાળકો અને 3,032 સગર્ભા માતાઓને રોગપ્રતિકારક રસી અપાશે હાઉસ- ટુ -હાઉસ હેડ કાઉન્ટ સર્વે કરી, બાળકો અને સગર્ભા બહેનોને રસી અપાશે

દેશના 12 રાજ્યોમાં સગર્ભા બહેનો અને બાળકો માટે મિશન ઇન્દ્રધનુષ 4.0 યોજનાના-ચોથા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.રાજ્યોના આંતરિયાળ વિસ્તારો સુધી મિષન ઇન્દ્રધનુષ ઝુંબેશ પહોંચે તે દિશામાં લોકભાગીદારીથી કામગીરી હાથ ધરવાની શરૂઆત કરાઈ છે.મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત અપાતી વિવિધ પ્રકારની રસી લાભાર્થીઓને જીવન ઉપયોગી બનશે.કોરોના મહામારી વચ્ચે 170 કરોડ કોરોના રસીકરણ સાથે ભારત દેશે સમગ્ર વિશ્વમાં સહિયારા પ્રયાસોનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. 
 
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ મિશન ઇન્દ્રધનુષ 4.0ના ચોથા તબક્કાનો પ્રારંભ કરાવતાં કહ્યું કે વર્ષ 2014 અગાઉ વિવિધ પ્રકારની રસીનું પ્રમાણ 43 ટકા હતું જે આજે દેશભરમાં 76 ટકા સુધી પહોંચ્યું છે. મિશન ઇન્દ્રધનુષમાં દેશના 90 ટકા થી વધુ લોકો સુધી રસીનો લાભ પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેને પરિપૂર્ણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દેશના અન્ય રાજ્યોના સહિયારા પ્રયાસો સાથે કટિબધ્ધ છે.
 
ગુજરાતમાં આરંભ થયેલ મિશન ઇન્દ્રધનુષ 4.0 7 ફેબ્રુઆરી, 7 મી માર્ચ અને 4 એપ્રિલ ના રોજ ત્રણ તબક્કામાં કાર્યરત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં સગર્ભા બહેનો અને બાળકોને આવરી લઇ આરોગ્ય સંલગ્ન વિવિધ રસીઓ આપવામાં આવશે.આ અભિયાન અંતર્ગત ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયુ, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી , રૂબેલા જેવા ધાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવશે.
 
બે વર્ષથી નાની ઉમરના બાળકો અને રાજ્યની સગર્ભા બહેનોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે. બે વર્ષથી વધુ  ઉમરના બાળકોને પણ કોઈ પણ રસીકરણ સેશન પર રસીકરણ સેવાઓ પૂરી પાડવાનો આ રસીકરણ અભિયાનનો ઉદ્દેશ છે.રાજયમાં અગાઉ મિશન ઇન્દ્રધનુષના 2015થી 2021 દરમ્યાન સફળ અમલીકરણ કરવામાં આવેલ છે. આ દરમ્યાન કુલ 9 લાખ 61 હજાર 380  બાળકો અને 2 લાખ 05 હજાર 925 સગર્ભા સ્ત્રીઓને 1 લાખ 94 હજાર 193 વધારાના રસીકરણ/મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા IMI 4.0 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતુ.