1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 માર્ચ 2022 (21:28 IST)

જનાબ શાહીદ કલિમીની સ્મૃતિસભા યોજાઇ, આ બે પુસ્તકોમાં સમાયો છે મધ્યયુગનો ઇતિહાસ

આ પ્રસંગે તેમના બે પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું - ‘એ બર્ડ્સ આઈ વ્યૂ ઑફ ધી સરખેજ રોજા કૉમ્પલેક્સ’ અને ‘યાદ-એ-અય્યામ’. ‘એ બર્ડ્સ આઈ વ્યૂ ઑફ ધી સરખેજ રોજા કૉમ્પલેક્સ’માં આ સ્મારકના ઐતિહાસિક પાસાંનું આલેખન કરવામાં આવ્યું છે, જ્યારે ‘યાદ-એ-અય્યામ’માં ગુજરાતના આઝાદી પૂર્વેના ઇતિહાસનું આલેખન છે.
અમદાવાદના કિલ્લેબંધ શહેરમાં આવેલા અત્યંત ચલહપહલથી ભરેલા ખાસ બજારની સાંકડી ગલીમાં કલિમ બૂક ડેપો આવેલો છે. આ પુસ્તકોની દુકાન ગુજરાતના મધ્યયુગીન ઇતિહાસ, પુરાતત્ત્વશાસ્ત્ર અને ધાર્મિક લખાણો જેવા વૈવિધ્યસભર વિષયો પરના દુર્લભ પુસ્તકો માટે જાણીતી છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવેલા અમદાવાદના જાણીતા સીમાચિહ્ન ખાતે આવેલી આ પુસ્તકની દુકાન જાણીતા પ્રકાશક, લેખક, પુસ્તકપ્રેમી, લોકોપકારી અને ગુજરાતના મધ્યયુગીન ઇતિહાસના ઉત્સુક વિદ્યાર્થી જનાબ શાહીદકલિમીનાદાદા દ્વારા સ્થાપવામાં આવી હતી. 
જનાબશાહીદકલિમીહાલમાં જ જન્નત-નશીન થઈ ગયાં છે.જનાબ કલિમી અને ગુજરાતના મધ્યયુગીન ઇતિહાસમાં તેમના યોગદાનોને સન્માનિત કરવા માટે અમદાવાદમાં એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણવિદો, સુપ્રસિદ્ધ ઇતિહાસકારો અને હેરિટેજમાં રસ ધરાવતા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
 
સરખેજ રોજા કમિટીના અધ્યક્ષ એ. એસ. સૈયદની સાથે ઇતિહાસકાર, સંશોધક, ક્યુરેટર અને પીર મહોમ્મદ શાહ લાઇબ્રેરીના સ્થાપક એમ. એચ. બોમ્બેવાલા, ગુજરાત કૉલેજના નિવૃત્તિ પ્રિન્સિપાલ અને પર્શિયન અને અરેબિક વિભાગના ભૂતપૂર્વ વડા પ્રો. એમ. એ. અબ્બાસી એ આ સ્મૃતિસભામાં ઇતિહાસ, વારસા અને શૈક્ષણિક ક્ષેત્રમાંથી ઉપસ્થિત રહેનારા કેટલાક આદરણીય લોકોમાંથી એક હતા.
 
જનાબ કલિમીએ ઇતિહાસ પરના લગભગ 50 જેટલા પુસ્તકોનું ગુજરાતી અને ઉર્દૂમાં ભાષાંતર કર્યું હતું અને તેમણે તેમના જીવનના છેલ્લાં 20 વર્ષ સરખેજ રોજા ખાતે આવેલા વિશાળ પુસ્તકાલયનું સમારકામ કરવામાં અને તેને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં ગાળ્યાં હતા. એક સમય એવો હતો જ્યારે કલિમ બૂક ડેપો ખાતે સમગ્ર શહેરના બૌદ્ધિકોનો જમાવડો રહેતો, જેઓ ત્યાં દરરોજ સાંજે કવિતા અને શાયરીના માધ્યમથી નવા વિચારો પર ચર્ચાવિચારણા કરવા એકઠાં થતાં.
 
પોતાના ઉદ્બોધનમાં સરખેજ રોજા કમિટીના અધ્યક્ષ શ્રી એ. એસ. સૈયદે સરખેજ રોજા ખાતે જનાબ કલિમીના બે દાયકાના સ્વૈચ્છિક છતાં અથાગ યોગદાનનો ચિતાર આપ્યો હતો તથા તેમના સમર્પણ અને ખંતને બિરદાવ્યાં હતાં.
 
એ. એસ. સૈયદે જણાવ્યું હતું કે, ‘જનાબ કલિમી સરખેજ રોજા ખાતે આવેલી લાઇબ્રેરીને પુનર્જીવિત કરવામાં અને રોજા ખાતે પ્રકાશન વિભાગ સ્થાપવામાં કાર્યસાધક હતા, જેના પગલે સરખેજ રોજા કમિટીના છત્ર હેઠળ અનેક પુસ્તકોનું ભાષાંતર અને પ્રકાશન થઈ શક્યું.’આર્કિટેક્ટ યતીન પંડ્યા કે જેઓ આ સ્મૃતિસભાના મુખ્ય વક્તાઓમાંથી એક હતા, તેમણે આગામી પેઢી માટે ઇતિહાસને સાચવવાના જનાબ કલિમીના સમર્પણભાવને વખાણ્યો હતો.
 
‘આમીનમીડિયા’ના હેડઅને કલિમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉસ્માન કુરેશીની સાથે ગુજરાત ટુડેના ટ્રસ્ટી એડવોકેટ સોહેલ તિરમિઝિયે પણ આ સ્મૃતિસભામાં ઉપસ્થિત રહ્યાં હતાં. લેખક, સંશોધક અને અમેરિકામાં આવેલી પેન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જ્યોતિ ગુલાટીએ વીડિયો બાઇટ દ્વારા જણાવ્યું હતું કે, જનાબ કલિમીના અમૂલ્ય યોગદાન વગર તેમનું સંશોધન થઈ શક્યું ન હોત અને તેમના બે પુસ્તકો પણ લખાઈ શક્યાં ન હોત.
 
આ સ્મૃતિસભાના ભાગરૂપે જનાબ કલિમીના બે તાજેતરના પ્રકાશનોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ છે, ‘એ બર્ડ્સ આઈ વ્યૂ ઑફ ધી સરખેજ રોજા કૉમ્પલેક્સ’. આ પુસ્તકમાં સરખેજ રોજા અને તેના સંકુલના વિવિધ હિસ્સાઓમાં જોવા મળતાં શિલાલેખોના વિવિધ વિશિષ્ટ પ્રકારના ઐતિહાસિક અને સ્થાપત્યકીય પાસાંઓનું વર્ણન અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
 
તેમનું બીજું પુસ્તક છે, ‘યાદ-એ-અય્યામ’, જેમાં ગુજરાતના આઝાદી પૂર્વેના ઇતિહાસને આલેખવામાં આવ્યો છે. વાસ્તવમાં તો, તેમાં ભારતના પશ્ચિમી ભાગમાં ઇસ્લામનું આગમન થયું તે પહેલાંના કાળથી આઝાદીના 100 વર્ષ પહેલાંના ઇતિહાસનું જીણવટ ભરેલું આલેખન કરવામાં આવ્યું છે.મૂળરૂપે તે મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈય હસની (આર. એ.) નામના વિદ્વાન દ્વારા વ્યાખ્યાનના સ્વરૂપમાં અરેબિક ભાષામાં લખવામાં આવ્યું હતું, જેનો અંગ્રેજી ભાષામાં તરજુમો પ્રો. મહેબૂબ હુસેન એ. અબ્બાસી દ્વારા કરવામાં આવ્યો છે.