શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 જાન્યુઆરી 2019 (12:08 IST)

અમિત શાહ અને આનંદીબેન પટેલથી શરૂ થયેલી આંતરિક જૂથબંધી હજુ પણ યથાવત

ગુજરાત સરકારમાં અને ભાજપના સંગઠનમાં અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે શરૂ થયેલી જૂથબંધી હજુ યથાવત રહી છે. કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને સીધા કેબિનેટ મંત્રી બનાવી દેવાયા હતા. જેને પગલે ભાજપના કેટલાક સિનિયર ધારાસભ્યો અને નેતાઓ નારાજ થયા છે.

તાજેતરમાં યોજાયેલી જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનું એક જૂથ ઈચ્છતુ હતું કે બાવળીયા હારી જાય જ્યારે બીજું જૂથ બાવળીયા જીતી જાય તેની તરફેણમાં હતું ચૂંટણીના પરિણામ બાદ હવે કુંવરજી બાવળીયાના નામે ભાજપના ટોચના નેતાઓ દ્વારા ગંદુ રાજકારણ શરૂ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યાંથી ચુંટાયા તેવા રાજકોટમાંથી એવી વાતો વહેતી  થઈ કે હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હટાવીને તેની જગ્યાએ કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવાશે. જોકે ખુદ બાવળિયા એ પણ આ વાતને અફવા ગણાવી છે સાથોસાથ તેઓએ સ્પષ્ટતા કરી છે કે ભાજપમાં તેમને જે કોઈ જવાબદારી સોંપવામાં આવશે તેઓ તેને નિભાવશે.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે સૌરાષ્ટ્રના કેટલાક ટોચના નેતાઓ પોતાના પ્રભુત્વ ને લઈને ચિંતિત છે. તેઓ નથી ઈચ્છતા કે સરકારમાં અથવા તો ભાજપમાં તેમની સ્થિતિ નબળી પડે આથી તેઓ પોતાના સદ્ધર ગણાતા હરીફોને પછાડવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. બાવળીયા તેમનું ઉદાહરણ છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોળી અને ઓબીસી સમુદાયના આકર્ષવા માટે બાવળિયાને આગળ કરીને ભાજપ સામે પાટીદારોનો રોષ વધી જાય તે માટેની રાજનીતિ શરૂ થઇ છે.

લોકસભાની ચૂંટણી આડે હવે લગભગ સાડા ત્રણ મહિના જેટલો સમય બચ્યો છે ત્યારે જ ભાજપની જુથબંધી ફરીથી સપાટી પર આવતા દિલ્હી હાઇકમાન્ડ ચોકી ઉઠયું છે. સૂત્રો કહે છે કે લોકસભાની ચૂંટણીના દિવસો જેમ નજીક આવશે તેમ ભાજપના ટોચના નેતાઓ પોતાના હરીફો સાથેનો હિસાબ સરભર કરવા માટેના તમામ હથકંડા અપનાવશે આગામી દિવસોમાં ભાજપની જુથબંધી વધુ વકરે તેવી શક્યતા છે તેમજ કુંવરજી બાવળિયા પ્રકારના વિવિધ અને નવીન પ્રકારના એપિસોડ જોવા મળશે.