શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (14:04 IST)

દિવાળીમાં નરેન્દ્ર મોદી-અમિત શાહ ગુજરાતની મુલાકાતે, મંત્રીમંડળના વિસ્તરણને લઇને ચર્ચા થઇ શકે

દિવાળીના તહેવારો દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં  છે. બંને મહાનુભાવોની ગુજરાતની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કેમકે, ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઇને  ચર્ચા થઇ શકે છે. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિવિધ પ્રોજેક્ટની સાથે સાથે દેશભરના આઇએએસની કોન્ફરન્સ યોજાનાર છે જેને વડાપ્રધાન સંબોધશે. નરેન્દ્ર મોદીની આ મુલાકાતને પગલે સરકાર તૈયારીમાં લાગી ગઇ છે.   આ બંને મહાનુભાવો ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમિત શાહ ચૂંટણી પરિણામો બાદ પ્રદેશના નેતાઓ સાથે સંગઠનના ફેરફાર ઉપરાંત મંત્રીમંડળમાં ફેરફારને લઇને ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્ર્ીય અધ્યક્ષની ય પસંદગી અંગે નિર્ણય લઇ શકે છે. ઔડા દ્વારા સરદાર પટેલ રીંગરોડ પર બ્રિજ સહિતના રૂા. 215.30 કરોડના વિકાસકામો હાથ ધરાનાર છે. આગામી તા. 26મીના રોજ કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહના હસ્તે ભૂમિપૂજનના તેમજ હાઉસીંગ સ્કીમોના ડ્રોના કાર્યક્રમો યોજાનાર છે. વિકાસ કામોમાં સાયન્સસિટી-રીંગરોડના સર્કલ ઉપર પહેલો થ્રીલેયર બ્રિજ રૂા. 73 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર હોવાની બાબત અગ્રતાક્રમે છે. આ અંગે ઔડાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છું કે, થ્રીલેયર બ્રિજમાં ઉપરનો ફલાય ઓવરબ્રિજ છ લેનનો રોડની દિશાનો બનાવાશે જે 1 કિ.મીટર લાંબો હશે. જ્યારે સૌથી નીચેનો અન્ડરપાસ 500 મીટર લાંબો અને 4 લેનનો હશે. વચ્ચેના લેવરમાં જમણી કે ડાબી બાજુ ટર્ન લઈ શકાશે. ચોમાસામાં અન્ડર પાસમાં પાણી ભરાઈ જાય ત્યારે વચ્ચેના લેયરનો ઉપયોગ થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કોર્પોરેશને તેના અગાઉના બજેટમાં પાલડી સર્કલ અને નહેરૂનગર સર્કલ પર થ્રીલેયર બ્રિજની જાહેરાત કરી હતી, તેની ડિઝાઇન પણ બતાવવામાં આવી હતી, પરંતુ બન્ને બ્રિજની બાબતમાં કોઈ પ્રગતિ થઈ શકી નથી. એટલે સાયન્સ સીટી સર્કલનો થ્રીલેયર બ્રિજ પહેલો સાબિત થશે. ઉપરાંત ઝુંડાલ સર્કલ પર રૂા. 60 કરોડના ખર્ચે 6 લેનનો 800 મીટર લાંબો વધુ એક બ્રિજ રીંગરોડ પર નિર્માણ પામશે. તેમજ બોપલમાં રૂા. 6.30 કરોડના ખર્ચે લાયબ્રેરી બનશે. જેમાં 200 વિદ્યાર્થીઓ એક સાથે બેસીને અભ્યાસ કરી શકશે. તેમજ બોપલની ટીવી સ્કીમ 1, 2 અને 3માં પાણી વિતરણ માટેનું નેટવર્ક ઉભું કરવાનું છે. નર્મદાના પાણી માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકી સાથેનું પપીંગ સ્ટેશન તેમજ 6 ઓવરહેડ ટાંકીઓ બનાવવામાં આવશે.