1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (17:30 IST)

રાજ્યના 7 IAS અધિકારીઓની બદલીના આદેશ, અમદાવાદના મ્યુનિ. કમિશનર મુકેશ કુમારના સ્થાન પર લોચન સહેરા બનશે નવા કમિશ્નર

રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની પણ બદલી કરવામાં આવી છે. લોચન સહેરા 7 જુલાઈ 2014થી 7 મે 2016 સુધી મહેસાણાના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે. જ્યારે 9 મે 2016થી 1 મે 2017 સુધી વડોદરા કલેક્ટર રહ્યા હતા. 
 
લોચન સહેરા વર્ષ 2002ની ગુજરાત બેચના IAS છે. રાજકોટ ખાતે વર્ષ 2004માં આસિસ્ટંટ કલેકટરથી એમણે સનદી સેવાની નોકરીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર બન્યા હતા. ત્યાર બાદ ભરૂચ અને બાદમાં સુરતના જિલ્લા વિકાસ અધિકારી બન્યા હતા. ત્યાર બાદ બઢતી સાથે દાહોદમાં કલેકટર તરીકે મુકાયા હતા. ત્યાર બાદ ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડયૂટી વિભાગમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી હતી.
 
IAS લોચન સહેરા જેઓ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી હતા, તેમને અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
 
અમદાવાદના હાલના મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની ગાંધીનગર સચિવાલયમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. IAS મુકેશ પુરી જેઓ સચિવાલયમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરી હતા, તેમને હવે GSFC વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
 
અન્ય IASના ટ્રાન્સફરમાં રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગનો વધારાનો ચાર્જ અપાયો છે. બી.આર. દવેને ગુજરાત લાઈવલી હૂડ કોર્પોરેશન લિ.માં બદલી કરાઈ છે. કે.સી. સંપતને સુરેન્દ્રનગર ડીડીઓ બનાવાયા છે. નવનાથ કોંડીબાને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર બનાવાયા છે.