1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 9 માર્ચ 2021 (15:39 IST)

12મી માર્ચે વડાપ્રધાન મોદીની ગાંધીઆશ્રમમાં મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ, અભયઘાટ ખાતે સભાનો ડોમ ઉભો કરાયો

વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રના નેતાઓ પણ આવવાના હોય સુરક્ષાને લઈ SPGએ નિરિક્ષણ કર્યું
 
આગામી 12 માર્ચે દાંડી કૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગાંધીઆશ્રમની મુલાકાતે આવવાના છે. ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત પણ કરવાના છે જેની ગાંધીઆશ્રમમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આશ્રમમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. દાંડીબ્રિજ ખાતે પણ સાફ સફાઈ અને તેને શણગારવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુભાષબ્રિજ અભયઘાટ ખાતે ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે જ્યાં વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાને લઈ SPG અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
 
ગાંધીઆશ્રમમાં વડાપ્રધાનની મુલાકાતને લઈ ગુજરાત ટુરિઝમના અધિકારીઓ, ADM, સાંસ્કૃતિક વિભાગ અને અન્ય અધિકારીઓની ગાંધીઆશ્રમના ટ્રસ્ટીઓ સાથે આજે સવારે મીટીંગ યોજાઈ હતી. ગાંધીઆશ્રમમાં ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે જેમાં ગાંધી સ્મારક જે છે એવું જ રહેશે. સુભાષબ્રિજ અભયઘાટથી દાંડીપુલ સુધીના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામા આવશે. અત્યારે જેટલા ટુરિસ્ટ અને મુલાકાતીઓ આવી રહ્યાં છે તેના કરતાં વધુ લોકો આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગાંધીઆશ્રમની સામેની જગ્યાને પણ ડેવલોપ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું
 
 
12મી માર્ચના રોજ યોજાનારી દાંડીકૂચ અને ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રના નેતાઓ પણ હાજર રહેનાર છે. જેથી સુરક્ષા વ્યવસ્થાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મીટીંગ કરવામાં આવી હતી. દાંડીબ્રિજ નીચે આવેલા ગટરના ગંદા પાણીને દૂર કરવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અને નદીમાં સાફસફાઈ કરવામાં આવી રહી છે.