મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 ઑક્ટોબર 2020 (10:47 IST)

'રેડિયો પ્રિઝન' સાબરમતી લાઈવ: વાર્ષિક ૧ કરોડનું ટર્ન ઓવર ધરાવતા જેલ ભજીયા હાઉસને હેરિટેજ ભજીયા હાઉસમાં તબદીલ કરાશે

રાજ્યના એ.ડી.જી.પી. અને જેલના આઈ.જી. ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું છે કે, આઝાદી પૂર્વે સાબરમતી જેલ સ્વાતંત્ર્ય લડતના મંદિર સમાન હતી. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, ઝવેરચંદ મેઘાણી, કસ્તુરબા અને તૈયબજી જેવા વીરલાઓ આ જેલમાં બંદીવાન તરીકે રહ્યા હતા. જેલમાં આવતા આ સ્વાતંત્ર્યવીરો ગર્વની લાગણી અનુભવતા હતા. આઝાદી બાદ સમાજમાં જેલનું સ્થાન અને પરિભાષા બદલાઇ છે. પરંતુ રાજ્ય સરકારે આઝાદી બાદ જેલોને કેદીઓના વિકાસ,ઘડતર અને પુનર્વસનના કેન્દ્રબિંદુ  બનાવ્યા છે.
અમદાવાદ મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા સંચાલિત 'રેડીયો પ્રિઝન'ના  શુભારંભ પ્રસંગે ડૉ. કે.એલ.એન. રાવે કહ્યું કે, કોરોના મહામારીને કારણે લોકોને લોકડાઉન થવાની-આઇસોલેશનમાં રહેવાની ફરજ પડી. આ તકે આપણને સમજાયું કે બંદીવાન બની રહેવું કેટલું કઠિન છે. કેદમાં પુરાયા બાદ જ આઝાદીની સમજ આવતી હોય છે. મનગમતું કરવું, હરવું-ફરવું જેવા સામાન્ય નાગરિકોના અધિકારો બંદિવાનો પાસે હોતા નથી.
 
જેલના બંદીવાનોની મનોદશા પર વિચાર- મંથન કરવાવાળા ઘણા ઓછા છે. આથી જ બંદીવાનોના પ્રશિક્ષણ, કૌશલ્યવર્ધન, તાલીમ અને કાઉન્સેલિંગ આવશ્યક હોય છે. જેલના  હકારાત્મક  અને સુધારાત્મક વાતાવરણે અહીંના કેદીઓમાં સંગીત, ગાયન, વાદન, ચિત્રકળા, હસ્તકળા, દરજીકામ, સુથારીકામ અને ફેબ્રિકેશનની કુશળતાઓ બહાર લાવી છે. 
 
રાવે જણાવ્યું કે, રાજ્યની જેલો ૭૨ જેટલી પ્રોડક્ટ્સ (ઉત્પાદ) બનાવે છે. સાબરમતી જેલના ભજીયાનું વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા એક કરોડ છે. આથી જ વર્તમાન ભજીયા હાઉસને હેરિટેજ ભજીયા હાઉસમાં તબદીલ કરવાનો નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં બનનારા હેરિટેજ ભજીયા હાઉસમાં સાબરમતી જેલની પરિવર્તન યાત્રા પ્રદર્શિત કરતો હોલ, લોન્જ અને બેન્ક્વેટ હોલ હશે  રાજ્યની 28 જેલોમાં બનતા ખાદ્ય પદાર્થોના ઓનલાઇન ટ્રેડિંગ માટે સર્ટીફીકેશન તથા એફ.એસ.એસ.એ. આઇ. માં પરવાનગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.