શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2019 (12:25 IST)

1 સપ્ટેમ્બરથી પ્રવાસીઓને ગુજરાતની નર્મદામાં રીવર રાફ્ટિંગની સુવિધાનો લાભ મળશે

ઉત્તર ભારતમાં રીવર રાફ્ટિંગનો આનંદ માણવા માટે ગુજરાતીઓનો હંમેશા ઘસારો રહેતો હોય છે. પરંતુ હવે આ સુવિધા ઘરઆંગણે જ શરુ થવા જઈ રહી છે. રીવર રાફ્ટિંગના શોખીન પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફ્ટિંગની સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો લાભ પ્રવાસીઓને 1લી સપ્ટેમ્બરથી મળશે.

આ સુવિધાનો પ્રારંભ કરાવતી વખતે રૂપાણીએ પ્રવાસીઓ આગામી દિવાળી કેવડિયામાં ઉજવે અને પ્રકૃતિ તથા સાહસિક પ્રવાસનનો આનંદ માણે તેવો અનુરોધ કર્યો હતો. આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. આ સુવિધાનો પ્રારંભ નર્મદા નદીના કાંઠે આવેલા ખલવાણી ગામેથી કરવામાં આવ્યો છે. રિવર રાફ્ટિંગ 5 કિ.મી. વિસ્તારમાં હશે. જે ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધી હશે. રૂપાણીએ કહ્યું છેકે, આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે, એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી હોવાથી પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે.