શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 નવેમ્બર 2021 (11:03 IST)

જલદી રાત્રિ કરર્ફ્યુંમાંથી મળી શકશે રાહત, લગ્નમાં હાજરી આપી શકશે આટલા લોકો!

રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવવામાં ગુજરાત સરકારે મોટાભાગે સફળતા મેળવી લીધી છે. કોરોના વેક્સીનેશન અભિયાનને પુરજોશમાં વેગવંતુ બનાવતાં લાખો લોકોને સુરક્ષા કવચ પુરી પાડ્યું છે. ત્યારે જેમ જેમ કોરોના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો તેમ તેમ કોરોનાના નિયંત્રણોમાં છૂટછાટનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર ફરી એકવાર કોરોનાકાળ દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવા અંગે વિચારણા કરી રહી છે. 
 
લગ્ન અને સામાજિક પ્રસંગ માટે હાલની 400ની મર્યાદા વધારીને 600થી 800ને મંજૂરી આવી શકે છે. જ્યારે રાત્રિ કર્ફ્યૂ પણ હવે ઉઠાવી લેવામાં આવી શકે છે તેઓ શક્યતાઓ દેખાઇ રહી છે. સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગ સાથે  ચર્ચા બાદ ગૃહ વિભાગ 1 ડિસેમ્બરથી નિયંત્રણ હળવા કરવાનો નિર્ણય એકાદ દિવસમાં જાહેર કરશે તેવી સંભાવના છે. 
 
ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ લગ્નો, સ્નેહમિલન સમારોહ જેવા સામાજિક પ્રસંગોનું મોટા પાયે આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકોને નિયંત્રણમાં વધુ છૂટછાટ અપાશે.
 
આ સિવાય પહેલી ડિસેમ્બરથી પ્રી-વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર અને અન્ય સ્થળોએ પણ પહેલી ડિસેમ્બરથી એક પછી એક કાર્યક્રમો યોજાવાના હોવાથી અને તેમાં ભાગ લેવા માટે બહારના લોકો તેમ જ ટ્રાન્સપોર્ટેશન વધે તેમ હોવાથી હાલ 8 મહાનગરોમાં લાદવામાં આવેલો રાત્રે 12થી સવારે 6 સુધીનો રાત્રિ કર્ફ્યૂ પણ ઉઠાવી લેવાય તેવી શક્યતા છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે મોટાપાયે ગુજરાત સરકારે આદરેલા રસીકરણ અભિયાનના લીધે દિવાળી બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. કોરોના પર કાબૂ મેળવી લેવામાં આવતા કોરોનાના કેસ અંકુશ છે.