1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (16:22 IST)

અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી પાંચમી ફેબ્રુઆરીથી STની AC વોલ્વો બસ દોડશે

ગુજરાતમાંથી અન્ય રાજ્યો કે દેશમાં જવા માટે મોટાભાગે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાની હોય છે.ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે તેમની સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા આગામી 5 ફેબ્રુઆરી, 2024થી 553 રૂપિયાના ભાડામાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની AC વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે. 
 
અમદાવાદ એરપોર્ટથી સવારે 6 વાગ્યે રાજકોટ જશે
અમદાવાદ એરપોર્ટ ખાતે ખાસ પ્રકારના પોટા કેબિન દ્વારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. એસી વોલ્વો સીટર બસ રહેશે જે અમદાવાદ એરપોર્ટથી સવારે 6 વાગ્યે રાજકોટ જવા રવાના થશે. સાંજે 5 વાગ્યે રાજકોટ બસ ટર્મિનલથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા માટે રવાના થશે. હાલમાં એક વખતની મુસાફરીનું ભાડું  553 રૂપિયા રાખવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભવિષ્યમાં આ રૂટની વધુ બસ શરૂ કરવાનું આયોજન પણ છે. ભારતમાં પ્રથમ વખત આ પ્રકારે એરપોર્ટ પર અન્ય જિલ્લામાં જવા માટે બસપોર્ટ આપવામાં આવશે.
 
એડવાન્સ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકશે
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જતી એસી વોલ્વો બસના રૂટની વાત કરવામાં આવે તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વાયા-નરોડા, ગીતા મંદિર, નેહરૂનગર, લીમડી, ચોટીલા હાઈ-વેથી રાજકોટ પહોચશે. મુસાફરો ઘરે બેઠા આ બસ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વેબસાઇટ www.gsrtc.in પર તેમજ Google Play Storeમાં GSRTC Official download કરી એડવાન્સ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સવલત માટે અનેક નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે.