1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (16:12 IST)

ભાજપે અગાઉ અમારા કોર્પોરેટરોને તોડવા 3 કરોડની ઓફર કરી હતી, ભાજપના ખરીદ-વેચાણથી જનતા વાકેફ છેઃ ઈસુદાન ગઢવી

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. શુક્રવારે ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત AAPના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

હવે આપના નેતા ઈસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે ભાજપ દ્વારા તોડવાની કોશિશ કરવામા આવે છે. અગાઉ ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ. કોર્પોરેટર કેટલાક લાલચમાં આવી ગયા હોય શકે. ભાજપ પેપર ફોડે છે, આઉટસોર્સિંગ કરે છે અને લૂંટફાટ ઘટના બને છે. કલોલમાં રૂ. 2 કરોડની લૂંટ થઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપમાં જોડવામાં હતા.

ઈસુદાને પત્રકારોને કહ્યું હતું કે, ભાજપ 7 વર્ષમાં 5 હજાર કરોડના ફંડ પર પહોંચ્યું છે. કોર્પોરેટરને ખરીદતા પહેલાં ત્યાંની જનતાને પૂછો. અમારા પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે તેમને શું લાલચ આપી હશે એ ખબર નથી. ચૂંટણી આવવા દો ભાજપમાં કેવા ભડકા થાય છે તે જોજો. અમે આ મુદ્દે લીગલ કાર્યવાહી કરીશું. આજે અમારી લીગલ ટીમ સાથે બેઠક કરીશું. અમે યુવાનોની હત્યા અને પેપર ફૂટવા મામલે રાજ્યપાલને મળવા જઈશું. ભાજપે હવે કોઈ પણ પ્રકારે ડરાવવાનું શરૂ કર્યું છે. લાંચ લેનાર અને આપનાર બંને ગુનેગાર છે. ભાજપના નેતા અને કાર્યકર્તાઓ પણ દુઃખી- નારાજ છે.ગુજરાતની જનતાને વિનંતી છે કે તમે જાગૃત થાઓ.જનતા ભાજપની ખરીદ વેચાણથી વાકેફ થાય. યુપીમાં 9 ધારાસભ્ય અને 4 મંત્રી ગયા છે તો શું ભાજપ ત્યાં ચૂંટણી નથી લડતી?પેપર ફોડ પાર્ટીમાં લોકો કેમ જોડાય કેમ કે મલાઈ મળતી હશે. આપનો કાર્યકર્તા પ્રજા વચ્ચે જઈ ભાજપ દ્વારા ખરીદ વેચાણ સંઘ, પેપર ફોડ, ભ્રષ્ટાચાર કરે છે તે મામલે કેમ્પઈન ચલાવીશું. અધિકારીઓ પૈસા કઢાવવા માટે ઊંચું કમિશન લે છે.આજે ભાજપના પૂર્વ મંત્રીએ ભાજપના શાસનનો ભાંડો ફોડ્યો છે. જમીનને ખાલી કરાવવાનું કામ અધિકારીઓ કરે છે.આમની સામે કોઈ જ કાર્યવાહી નહિ થાય. કારણ કે ગૃહમંત્રી જ ફોડવામાં પડ્યા છે. ભ્રષ્ટાચાર રોકવાનું કામ ગૃહમંત્રીનું છે.ભાજપ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટનો બેફામ ઉપયોગ થાય છે અને ફરિયાદ કરી મોટો તોડ કરે છે. મહિલા કોર્પોરેટર દ્વારા દલિત છું એટલે પાણી ન પીવું એવો આપ પર આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ ભાજપની સ્ક્રીપ્ટ છે. અમદાવાદના મેયરને કેમ બંગલામાં રહેવા નથી દેતા. દલિત છે એટલે! શું એમને મેયર બંગલામાં રહેવા નહીં જવા દેવાના? બહેનને વિનંતી છે કે તમારે તો ભાજપમાં ન જવાય. ભાજપ દલિત વિરોધી પાર્ટી છે. તમામ મહાનગરના મેયરો મેયર બંગલામાં રહે છે પરંતુ અમદાવાદના મેયર દલિત છે એટલે એમને મેયર બંગલાં રહેવા નથી દેતા. કોંગ્રેસના 14 ધારાસભ્યોને ભાજપે તોડ્યા હતા. એક જ જીતી શક્યા બાકી હાર્યા છે. જનતા જનાર્દન નક્કી કરે છે. રૂપિયાની થેલીઓ નહિ નક્કી કરે. ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી નહિ કરે. વિપુલભાઈ ભાજપના સંપર્કમાં હતા.સી આર પાટીલ સુપર સીએમ છે.ચૂંટણી આવે છે એટલે આ બધું કરે છે. તેઓને સીએમ બનવું છે.પાટીલની વાત પર કોઈએ વિશ્વાસ ન મુકવો.