ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 ઑક્ટોબર 2022 (11:08 IST)

બોટધારક માછીમારોને આપવામાં આવતી કેરોસીન સહાય તથા કેરોસીનના જથ્થામાં સરકારે કર્યો વધારો

bihar river boat
રાજ્યના ઓ.બી.એમ.બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા પ્રતિ લીટર રૂ.૨૫/- લેખે પ્રતિ માસ મહત્તમ ૧૫૦ લીટર તથા વાર્ષિક ૧૪૭૨ લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી. નાના માછીમારોની ઘણા સમયથી સરકાર સમક્ષ હાલમાં મળતી સહાય અને મળવા પાત્ર કેરોસીનના વાર્ષિક જથ્થામાં વધારો કરવાની માંગણી હતી. સરકાર દ્વારા નાના-ગરીબ માછીમારોની આર્થિક નબળી સ્થિતી તથા તેઓની લાગણી- માંગણીને ધ્યાને લઇ ઓ.બી.એમ. બોટધારક માછીમારોને આપવામાં આવતી કેરોસીન સહાય તથા કેરોસીનના જથ્થામાં વધારો કરવાનું વિચારણા હેઠળ હતું. 
 
સરકાર દ્વારા કેરોસીન સહાયની રકમ રૂ. રપ/- થી વધારી રૂ. ૫૦/- કરવામાં આવેલ છે. તથા વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો ૧૪૭૨ લીટરથી વધારી ૧૫૦૦ લીટર કરવામાં આવેલ છે. આ સુધારા થકી સરકાર દ્વારા આશરે ૪૦૦૦ જેટલા નાના-ગરીબ ઓ.બી.એમ. બોટધારક માછીમારોને માછીમારીના ધંધામાં કેરોસીનના વધતા જતા ભાવો સામે આર્થિક સધ્ધરતા પુરી પાડવામાં આવેલ છે. 
 
(૨) ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા ઓ.બી.એમ. બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાયઃ- 
ઓ.બી.એમ. એટલે કે આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ જ્યારે કેરોસીનના ભાવો પેટ્રોલની સરખામણીએ ઓછા હતા ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીનનો વપરાશ કરીને ચલાવતા હતા. હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહેલ નથી. તેવા સંજોગોમાં ઓ.બી.એમ. બોટધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે. જેથી આવા માછીમારો દ્વારા ઘણા સમયથી સરકાર સમક્ષ ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશ માટેઓ.બી.એમ. બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવા માંગણી કરવામાં આવેલ હતી. 
સરકાર દ્વારા નાના માછીમારોની આ માંગણીનો સ્વીકાર કરવામાં આવેલ છે. અને ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા ઓ.બી.એમ. બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાનું મંજુર કરવામા આવેલ છે. 
 
(૩) યાંત્રિક હોડીધારક માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના તળે આપવામાં આવતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટઃ-
 
રાજ્યના વિવિધ માછીમાર સંગઠનો દ્વારા ડીઝલ વેટ રાહત યોજના અંતર્ગત માછીમારો દ્વારા રાજ્યના કોઇપણ સ્થળના વેટ રાહત માટે, સરકારની  માન્યતા પ્રાપ્ત, ડીઝલ વિતરણ કરતા ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદ કરવામાં આવે તો આવી ડીઝલ ખરીદી પર વેટ રાહત મળવાપાત્ર રહેશે તેવી છુટ આપવાની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવેલ હતી. માછીમારોની રજુઆતો / માંગણીઓ માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વીકારી માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના તળે આપવામાં આવતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટ આપવામાં આવેલ છે.આ સુધારો થવાથી ડીઝલ વિતરણ કરતા પંપોમાં આંતરીક હરીફાઇ થવાથી માછીમારોને મૂળભૂત સુવિધાઓ તેમજ ગુણવત્તા યુક્ત ડીઝલનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે તેમજ માછીમારોને નજીકના પંપેથી ડીઝલ મળતાં ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ પણ ઘટી જશે.જેથી માછીમારો સરળતાથી માછીમારીનો વ્યવસાય સફળતાપૂર્વક કરી શકશે.   
 
(૪)  ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજનાઃ- 
વર્ષ.૨૦૧૬.૧૭ થી વર્ષ.૨૦૨૦.૨૧ સુધી બાકી રહેલ નાના માછીમારો ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજના અન્વયે  કુલ- ૧૨૮૭ લાભાર્થીઓને રૂ.૬૦,૦૦૦/- (અંકે રૂપિયા સાંઇઠ હજાર પુરા) લેખે બાકી રહેલ સહાય કુલ રૂ.૭,૭૨,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા સાત કરોડ બોંતેર લાખ વીસ હજાર પુરા) ને સરકાર ધ્વારા મંજુરી આપવામાં આવેલ છે.  
 
(૫) માછીમારીની વીસ મીટરથી ઓછી લંબાઇની હોડીઓમાં વપરાતા હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ વાર્ષિક જથ્થામાં વધારો કરવા બાબત.
 
રાજ્યના વિવિધ માછીમાર સંગઠનો દ્વારા ડીઝલ વેટ રાહત યોજના અંતર્ગત યાંત્રિક હોડીધારક માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં વધારો કરવાની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવેલ હતી. માછીમારોની રજુઆતો / માંગણીઓ માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વીકારી માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના તળે આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં વધારો કરવામાં આવેલ છે.
 
જેમાં ચાર કેટેગરીમાં ક્રમશઃ ૫૦૦૦ લીટર, ૬૦૦૦લીટર, ૭૦૦૦ લીટર તથા ૮૦૦૦ લીટર વધારો કરવામાં આવેલ છે. પ્રથમ કેટેગરી ૧ થી ૪૪ હોર્ષ પાવરની બોટોને ૧૩,૦૦૦ લીટરને સ્થાને ૧૮,૦૦૦, બીજી કેટેગરી ૪૫ થી ૭૪ હોર્ષ પાવરની બોટોને ૧૮,૦૦૦ લીટરને સ્થાને ૨૪,૦૦૦, ત્રીજી કેટેગરી ૭૫ થી ૧૦૦ હોર્ષ પાવરની બોટોને ૨૩,૦૦૦ લીટરને સ્થાને ૩૦,૦૦૦અને ચોથી કેટેગરી ૧૦૧ અને તેથી ઉપરના હોર્ષ પાવરની બોટોને ૨૬૦૦૦ લીટરને સ્થાને ૩૪૦૦૦વાર્ષિક મહત્તમ ડીઝલનો જથ્થાનો લાભ આપવામાં આવશે. આ સુધારાથી આશરે ૧૦,૦૦૦ જેટલા માછીમારોને આર્થિક લાભ થશે.