બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: રવિવાર, 7 ઑગસ્ટ 2022 (12:28 IST)

શું છે ડ્રોન ટેકનોલોજીથી સંચાલિત આ યોજના અને કેટલી મળે છે સબસિડી?

ખેતરના પાકમાં નવી ટેકનોલોજી અને ડ્રોન યંત્ર વડે દવા છંટકાવ કરવાની યોજના રાજ્ય સરકારે અમલી બનાવી છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત ૨૦ મિનિટમાં ૧ હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે, આ ટેકનોલોજીથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિખર્ચ બચશે અને કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળશે. 
 
આ યોજના હેઠળ ખેડૂતને એક એકર માં ડ્રોન દ્વારા  છંટકાવ માટે વધુમાં વધુ રૂ.૫૦૦/- સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. ૨૫૦૦/-ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધે તે માટે રાજ્ય સરકારે બજેટમાં રૂ. ૩૫ કરોડની જોગવાઇ કરી છે.
 
• શું છે નેનો યુરિયા?
દેશના ખેડૂતોને યુરિયા ખાતરની એક થેલી રૂ.૨૬૮/-માં આપવા માટે કેન્દ્ર સરકાર રૂ. ૩૭૦૦/- ની સબસિડી આપે છે. જેની સામે ઈફ્કો દ્વારા સંશોધિત નેનો યુરિયાની ૫૦૦ મી.લિ. ની બોટલ રૂ.૨૪૦/- માં મળે છે. જેથી સરકારને સબસિડીની બચત થાય છે. વિદેશમાં જતું હુડિયામણ બચી જાય છે અને ખેડૂતોને પણ ફાયદો થાય છે. નેનો યુરિયાના ખેતરોમાં ઉપયોગ માટે ભારતમાં ૬ સિઝન અને ૯૪ પાકો પર ૧૧ હજાર જેટલા પરીક્ષણો પછી સરકારે માન્યતા આપી છે. નેનો યુરિયાનું સંશોધન વિશ્વભરમાં સૌ પ્રથમ ઈફકોએ કર્યું છે.