શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 9 એપ્રિલ 2021 (22:53 IST)

કોરોનાનો રાફડો ફાટ્યો: સતત બીજા દિવસે કોરોના આંકડો 4 હજારને પાર, 42ના મોત

\
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે સતત બીજા દિવસે કોરોનાનો આંકડો 4 હજારને પાર થઇ ગયો હતો. ગુરૂવારે 4021 કેસ નોંધાયા હતા, જ્યારે આજે રેકોર્ડબ્રેક 4541 કોરોના કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
અત્યાર સુધીમાં 76,30,525 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,84,583 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 86,15,108 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,24,301 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 50,455 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 22,692 એક્ટિવ દર્દી છે, જે પૈકી 187 લોકો વેન્ટિલેટર પર છે અને 22,505 લોકો સ્ટેબલ છે. 3,09,626 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4697 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 42 લોકોનાં દુખદ નિધન થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા 2, ભાવનગર 1, છોટાઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ 1 અને સુરતમાં 1 આ પ્રકારે કુલ 42 લોકોનાં ગુજરાતમાં મોત નિપજ્યાં છે.