ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By તુષાર કુલકર્ણી|
Last Updated : બુધવાર, 22 એપ્રિલ 2020 (19:01 IST)

કોરોના વાઇરસ : ગરમી શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?

કોરોના વાઇરસના કારણે દુનિયામાં હાલ સુધીમાં 24 લાખથી પણ વધારે લોકો ઝપેટમાં આવ્યા છે. ભારતમાં પણ હજારો લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે ઉનાળાની શરૂઆત થવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જશે.

આ ઉપરાંત ગરમ પાણી પીવાથી અને ગરમ પાણીથી નાહવાથી કોરોનાના વાઇરસને ખતમ કરી શકાય છે એવી ચર્ચા પણ ચાલી રહી છે.

શું ઉનાળો શરૂ થશે એટલે કોરોના વાઇરસ સામે ચાલી રહેલા આ યુદ્ધનો અંત આવી જશે? તે જાણતા પહેલાં જાણીએ કે કોરોના વાઇરસ કેવી રીતે ફેલાય છે.

કોરોના વાઇરસ કેવી રીતે ફેલાય છે?

યુનિસેફમાં કામ કરતાં શાર્લૅટ ગૉર્નિઝ્કે કહ્યું, "કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ વ્યક્તિ ખાંસી ખાય છે ત્યારે તેના થૂંકમાં રહેલાં સૂક્ષ્મ બિંદુઓ હવામાં ફેલાઈ જાય છે. આ નાના કણોથી કોરોના વાઇરસ ફેલાય છે. વ્યક્તિ જ્યારે છીંક ખાય છે ત્યારે તેના થૂંકમાં 3000થી વધારે સૂક્ષ્મ બિંદુ એટલે ડ્રૉપલેટ્સ શરીરની બહાર આવે છે."

સંક્રમિત વ્યક્તિની નજીક જવાથી આ કણ શ્વાસ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે.

ક્યારેક ક્યારેક આ કણ કપડાં, દરવાજાનાં હૅન્ડલ અને તમારા સામાન પર લાગી શકે છે. આ જગ્યા પર કોઈનો હાથ પડે અને પછી તે વ્યક્તિ તે સંક્રમિત હાથથી પોતાનાં આંખ, નાક અથવા મોંને અડે છે તો તેને કોરોના વાઇરસનો ચેપ લાવી શકે છે.

વાઇરસ શરીરની બહાર કેટલો સમય રહી શકે છે?

અમેરિકન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ હેલ્થે પોતાના સંશોધનમાં તારવ્યું કે થૂંકનાં કણોમાં વાઇરસ 3-4 કલાક સુધી જીવિત રહી શકે છે અને હવામાં તરી શકે છે. પરંતુ તે કણ દરવાજાનાં હૅન્ડલ, લિફ્ટનાં બટન જેવી ધાતુની સપાટી પર 48 કલાક સુધી ઍક્ટિવ રહી શકે છે.

જ્યારે તે સ્ટીલની સપાટી પર પડે છે તો તે 2થી 3 દિવસ સુધી ઍક્ટિવ રહી શકે છે. કેટલાંક જૂનાં સંશોધનના આધારે એ પણ કહી શકાય છે કે કોરોના વાઇરસ અનુકૂળ પરિસ્થિતિમાં એક અઠવાડિયા સુધી પણ ઍક્ટિવ રહી શકે છે. કપડાં જેવી ગરમ સપાટી પર કોરોના વાઇરસ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.

એવામાં જો તમે એક કે બે દિવસ સુધી કપડાં નહીં પહેરો તો વાઇરસ ઍક્ટિવ નહીં રહે. પરંતુ એવું પણ નથી કે કોઈ સંક્રમિત સપાટીને અડકવાથી તમને કોરોના વાઇરસ થઈ જશે. જ્યાં સુધી તે તમારા મોં, આખ કે નાક દ્વારા તમારા શરીરમાં નહીં જાય, ત્યાં સુધી તમે ઠીક રહેશો.

એટલા માટે પોતાના મોંને અડવાનું અથવા હાથ ધોયા વગર ખાવાનું બંધ કરી દો.

એનો અર્થ એ છે કે જેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેણે કોઈ વસ્તુને હાથ અડાડ્યો કે છીંક ખાધી તો તે વસ્તુ તમે અડ્યા અને આંખ, નાક અને મોં દ્વારા તમારા શરીરમાં વાઇરસ ગયો તો ચેપ લાગી શકે છે.

આ ધ્યાન રાખજો કે માત્ર અડકવાથી નહીં, પરંતુ તમારા શરીરમાં જવાથી ચેપ લાગશે

ગરમી પડવાથી અસર થશે?

કોરોના વાઇરસ 60થી 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાન સુધી નષ્ટ થઈ શકતો નથી.

આટલું તાપમાન ન તો ભારતમાં હોય છે અથવા ન કોઈ વ્યક્તિના શરીરની અંદર.

કેટલાક વાઇરસ તાપમાન વધતાં નષ્ટ થઈ શકે છે, પરંતુ કોરોના વાઇરસ વધવાના કારણે તાપમાન પર શું અસર થશે?

આ અંગે બ્રિટનના ડૉક્ટર સારા જાર્વિસ કહે છે કે 2002ના નવેમ્બરમાં સાર્સ મહામારીની શરૂઆત થઈ હતી જેનો અંત જુલાઈમાં આવ્યો હતો. પરંતુ તાપમાન બદલાવવાના કારણે અથવા કોઈ બીજા કારણે એ કહેવું મુશ્કેલ છે.

વાઇરસ પર સંશોધન કરનાર ડૉક્ટર પરેશ દેશપાંડેનું કહેવું છે કે જો કોઈ ભરગરમીમાં છીંકે તો થૂંકના ડૉપલેટ (સૂક્ષ્મ કણ) સપાટી પર પડીને જલદી સુકાઈ શકે છે અને કોરોનાનું સંક્રમણ ઘટી શકે છે.

આપણે જાણીએ છીએ કે ફ્લૂ વાઇરસ ગરમી સમયે શરીરની બહાર રહી શકતા નથી, પરંતુ કોરોના વાઇરસ પર ગરમીની શું અસર થઈ શકે છે તેની ખબર નથી.

કહેવામાં આવી શકે છે કે ગરમીમાં કોરોના નષ્ટ થશે. આના કોઈ મજબૂત પુરાવા નથી. તાપમાનના ભરોસે ના બેસાય.

કોરોના વાઇરસ દુનિયાભરમાં 168 દેશોમાં ફેલાઈ ગયો છે. જેમાં ગ્રીનલૅન્ડ જેવા ઠંડા દેશો છે તો દુબઈ જેવાં ગરમ શહેરો પણ અને મુંબઈ જેવાં હ્યુમીડ (ભેજવાળા) અને દિલ્હી જેવાં સૂકાં શહેરમાં પણ સામેલ છે.

એક વખત જો આ વાઇરસ માણસના શરીરમાં પ્રવેશી જાય છે તો તેને મારવાનો રસ્તો પણ સરકાર શોધી શકી નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેટલાય દેશ આ પ્રકારનું કામ કરી રહ્યું છે, પરંતુ હાલ સુધી તેને મારવા માટે કોઈ દવા બનાવી શકાઈ નથી.

આ જ કારણે સરકાર આનાથી બચવાના ઉપાયો વિશે નાગરિકોને કહી રહી છે. તે પ્રવાસન સંબંધી પ્રતિબંધ લગાવી રહી છે અને લોકોને એકબીજાથી અંતર રાખવા માટે કહી રહી છે.

આ વાઇરસની સામે આપણા શરીરે લડવું જ પડશે. રોગપ્રતિકારકશક્તિ જ આને હરાવી શકશે.

આપણે આપણી બૅડશીટને ધોઈને રાખીશું તો વાઇરસને ત્યાંથી હઠાવી શકાય છે, પરંતુ શરીરમાં ઘૂસી ગયેલા વાઇરસને શરીર ધોઈને બહાર કાઢી શકાતો નથી.