રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : બુધવાર, 22 એપ્રિલ 2020 (14:34 IST)

અમદાવાદમાં LG હોસ્પિટલના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ

એલજી હોસ્પિટલના કુલ 19 ડોક્ટરને કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલને 27 એપ્રિલ સુધી બંધ રાખવાનો મ્યુનિ.એ નિર્ણય લીધો છે. મંગળવારે વધુ 5 ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના પગલે વધુ 40 લોકોને ક્વોરન્ટાઈન કરાયા હતા. એલજીના ડોક્ટરો અને સ્ટાફને લાગેલા ચેપના કારણે અત્યાર સુધી તેમના સંપર્કમાં આવેલા 120 કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. હોસ્પિટલનાં એક ઉચ્ચ અધિકારીનાં જણાવ્યાં મુજબ, મંગળવારે વધુ પાંચ રેસિડેન્ટ ડોકટરનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જેમાં 2 સર્જરી, 1 ઓર્થોપેડિક અને 1 ગાયનેકનાં ડોકટરનો સમાવેશ થાય છે. જેથી સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ પાંચ ડોકટરનાં ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલાં 40 લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે.જેથી હાલમાં એલજી હોસ્પિટલ નર્સ, પેરામેડિકલ અને સફાઇ કામદાર સહિત કુલ 23 પોઝિટિવ કેસ આવ્યાં છે, તેમજ આ 23 પોઝિટિવ લોકોનાં સંપર્કમાં આવેલાં 140 જેટલાં હોસ્પિટલનાં સ્ટાફને ક્વોરન્ટીન કર્યા છે. હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ કેસ અને ક્વોરન્ટીનનો આંકડો વધતાં અન્ય કર્મચારીઓ પણ કોરોના ટેસ્ટની માંગણી કરી રહ્યાં છે. હાલમાં સરકારની ગાઇડલાઇન મુજબ, હોસ્પિટલનાં પોઝિટિવ સ્ટાફનાં ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલાં લોકોને ક્વોરન્ટીન અને સેમ્પલની કામગીરી હાથ ધરી છે. ત્યારબાદ અન્ય કર્મચારીનાં ટેસ્ટ કરવામાં આવશે.એલજી હોસ્પિટલના સંખ્યાબંધ ડોક્ટરો અને નર્સો કોરોના વાઈરસના ચેપને કારણે હાલ હોસ્પિટલમાં કે ક્વોરન્ટીન હેઠળ છે. બીજી  તરફ મંગળવારે સવારે આ નર્સ અને સ્ટાફે એક વીડિયો બહાર પાડી રજૂઆત કરી હતી કે, તેમણે ઉચ્ચ સત્તાવાળા સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવે. જ્યારે સાથી કર્મચારી ક્વોરન્ટીનમાં છે કે પોઝિટિવ આવવાથી સારવાર હેઠળ છે ત્યારે તેમનું પણ ચેકિંગ થવું આવશ્યક છે.