શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (15:19 IST)

મંજૂરી વિના રેલી કાઢવાના કેસમાં રેશ્મા પટેલ, જિજ્ઞેશ મેવાણી સહિત 12ને ત્રણ મહિનાની જેલ

jignesh mevani
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને એનસીપી નેતા રેશ્મા પટેલને મહેસાણાની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. સાથે કોર્ટે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. રેશ્મા પટેલ અને મેવાણી સહિત 12 આરોપીઓને કોર્ટે સજા ફટકારી હતી. 2017માં આઝાદી કૂચની રેલી સંદર્ભે મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી.

મંજૂરી વિના આઝાદી કૂચની રેલી યોજવામાં આવી હતી.આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતુ બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહી શકે. અમે જનતાના ન્યાય માટે હંમેશા લડતા રહીશું.ઉનાકાંડની પહેલી વરસી પર મહેસાણામાં આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેશ્મા પટેલ, જિજ્ઞેશ મેવાણી તેમજ કન્હૈયા કુમાર સહિત 120 જેટલા લોકો જોડાયા હતા. પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી અને તેમને પાંચ કલાક કસ્ટડીમાં રાખીને છોડી દેવાયા હતા. ત્યારબાદ આઈપીસીની કલમ 143 હેઠળ મહેસાણા સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 15 લોકો વિરુદ્ધ ગેરકાયદે રીતે ભેગા થવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.રેલી કાઢવામાં આવી તે દિવસે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં દલિતો સોમનાથ ચોક પર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બેનર હેઠળ એકઠા થાય હતા. રેલીને મેવાણી, કન્હૈયા કુમાર અને રેશમા પટેલે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ ચારેક કલાક સુધી ચાલ્યો હતો, જેમાં યોગેન્દ્ર યાદવે પણ ભાષણ કર્યું હતું. સોમનાથ ચોકમાં એકત્ર થયેલા લોકોએ રેલી કાઢવાની તૈયારી કરી ત્યારે મહેસાણા પોલીસે તેમને રોક્યા હતા, કારણકે રેલી કાઢવાની તેમની પાસે મંજૂરી નહોતી.