ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 23 ડિસેમ્બર 2017 (14:55 IST)

ચૂંટણીઓ બાદ ગેસ ભાવમાં વધારો થતાં મોરબી સિરામિક ઉદ્યોગની નારાજગી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની મોસમ પૂર્ણ થતા ફરીથી ભાવવધારાના ડામ આપવાનું સરકારે શરુ કર્યું છે. ગત રાત્રીના સમયે નેચરલ ગેસના ભાવમાં ૨.૫૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા સિરામિક ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં સમયાંતરે ભાવવધારો આવતો હોય છે. જોકે, તાજેતરમાં ૨.૫૦ રૂપિયાનો ભાવવધારો રાતોરાત ઝીંકી દેવામાં આવ્યો છે. જેથી હવે કરાર કરેલી કંપનીઓને અગાઉના ૨૪.૮૭ રૂપિયાને બદલે ૨૭.૩૭ રૂ. અને બિનકરાર કરેલી કંપનીઓએ અગાઉના ૩૦.૨૦ રૂ. ને બદલે ૩૨.૭૦ રૂપિયા ભાવ ચૂકવવો પડશે જેથી ગેસના ભાવોમાં સીધો ૨.૫૦ રૂ. નો અસહ્ય ભાવવધારો ઝીંકી દેવાતા સિરામિક ઉદ્યોગ પર રોજનું ૮૫ લાખનું ભારણ વધતા મુશ્કેલીઓ વધવાની છે. આ અંગે મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે ભાવવધારા સામે વિરોધ નથી પરંતુ અગાઉથી જાણ કરવામાં આવે તો ઉદ્યોગપતિઓ ભાવ સંતુલન જાળવી શકે તો આ ભાવવધારાનો નિર્ણય રાતોરાત લેવાયો છે. જે યોગ્ય નથી તેમજ હાલ યુરોપના દેશોમાં ગેસની ડીમાંડ વધે છે જેની અસર સપ્લાય પર થવાથી શિયાળામાં ભાવવધારો આવે છે. જોકે સૂત્રો જણાવી રહ્યા છે કે આ ભાવવધારાનો નિર્ણય રાજકીય દ્વેષ આધારિત હોઈ શકે છે કારણકે મોરબી જીલ્લામાંથી ભાજપના સૂપડા સાફ થયા હતા અને પાટીદાર આંદોલનની પણ તીવ્ર અસર જોવા મળી હતી. જેથી રાતોરાત ગેસના ભાવવધારાનો નિર્ણય કરવામાં આવ્યો હોઈ શકે છે