પાકિસ્તાન ઉપર અમેરિકાની મહેરબાનીને લઇને ભારતે આકરો પ્રતિભાવ આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને 8 એફ-16 વિમાનો આપવાનો નિર્ણય લેતા ભારતે નારાજી વ્યકત કરી છે. આ વેચાણ સોદો રદ્દ કરવા અમેરિકાના સાંસદોની માંગણી છતા ઓબામા તંત્રએ આ વિમાન વેચવા અંગે પોતાના નિર્ણયમાં અમેરિકી કોંગ્રેસને જણાવી દીધુ છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યુ છે કે, પાકિસ્તાનને એફ-16 વિમાનોના વેચાણ પર અમે અમારી નાખુશી વ્યકત કરવા માટે ભારત અમેરિકી રાજદુતને બોલાવશે.
વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, પાકિસ્તાનને એફ-16 વિમાનો વેચવાના અમેરિકાના નિર્ણયથી ભારત નિરાશ છે અને એ તર્ક સાથે સહમત નથી કે, આ પ્રકારના હથિયારોના હસ્તાંતરણથી ત્રાસવાદને નિપટવામાં મદદ મળશે. રિપબ્લીકન અને ડેમોક્રેટીક બંને પક્ષોના પ્રભાવશાળી સાંસદોના વધતા વિરોધ છતાં અમેરિકી વિદેશ મંત્રાલયે કોંગ્રેસને અધિસુચિત કર્યુ છે કે તે પાકિસ્તાન સરકારને એફ-16 બ્લોક-પર વિમાન, ઉપકરણ, પ્રશિક્ષણ અને સામાન સાથે જોડાયેલા સહયોગવાળી વિદેશી સૈન્ય વેચાણ કરવાને મંજુરી આપી રહ્યુ છે.