1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2016 (13:03 IST)

EBC અનામત અંગેના હાઇકોર્ટના ચૂકાદાને ગુજરાત સરકારે સુપ્રીમમાં પડકાર્યો

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને ઇબીસી અનામતને રદ્દ કરીને મોટો ફટકો આપ્યો હતો. જોકે, ગુજરાત સરકારમાં નવા મુખ્યમંત્રીનું રાજ આવી ગયું છે. ત્યારે GAD અને કાયદા વિભાગ દ્વારા એક બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ઈબીસી અંગેના હાઇકોર્ટના ચૂકાદાને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી એમ પંચોલીની ખંડપીઠે સવર્ણો માટેના 10 ટકા ઇબીસી અનામતના સરકારના વટહુકમને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ઠેરવ્યો હતો. ચૂકાદાના અમલ સામે એડ્વોકેટ જનરલે સ્ટેની માંગ કરી હતી.

અરજદાર તરફથી સિનિયર એડ્વોકેટ શાલિન મહેતાએ સ્ટેનો વિરોધ કર્યો હતો અને હાલમાં પ્રવેશ ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, એડ્વોકેટ જનરલે 10% અનામતના વટહુકમના આધારે કોઈ પ્રવેશ અપાશે નહીં તેવી બાંયધરી આપતાં ખંડપીઠે બે અઠવાડિયાનો સ્ટે આપ્યો હતો અને નોંધ્યું હતું કે, બે અઠવાડિયાંથી આગળ કોઈ મુદ્દત આપવામાં આવશે નહીં.

હાઈ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, રાજ્ય સરકાર 10% આર્થિક અનામતને ‘વર્ગીકરણ’માં ખપાવી શકે નહીં, આ ચોક્કસપણે ‘અનામત’ જ છે. સરકારે આર્થિક આધારે આપેલી અનામત 50% અનામતની બંધારણીય મર્યાદાને ઓળંગે છે અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો પણ ભંગ કરે છે. અનામત આપતાં પૂર્વે કોઈ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કે અભ્યાસ પણ થયો નથી અને બંધારણની મૂળ વિભાવનાથી વિરુદ્ધ હોવાથી અનામતના વટહુકમને રદ્દ કરવામાં આવે છે.

પાટીદાર આંદોલનને પગલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આર્થિક અનામતના વટહુકમની સામે એક જાહેરહિતની અરજી સહિત કુલ ચાર પિટિશનો કરવામાં આવી હતી. સરકારે સવર્ણો માટે જાહેર કરેલી 10% અનામત ગેરબંધારણીય હોવાથી તેને રદ્દ કરવાની દાદ માંગવામાં આવી હતી. આ પિટિશનમાં રાજ્ય સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અનામતને ‘વર્ગીકરણ’ (ક્લાસીફિકેશન) હોવાનું અને બંધારણનો ભંગ ન કરતી હોવાની દલીલ કરી હતી.