Black Horse Shoe – Kale Gode ki Naal - blind faith. | ઘોડાની નાળ : અંધશ્રધ્ધા હોય ત્યાં કોઇ ભૂખે મરવાનું નથી
ઘણી શોપિંગ પોર્ટલ પણ હવે ઘોડાની નાળ વેચતી થઇ ગઇ, બોલો!
આપણા દેશમાં એક તરફ કરોડપતિઓ અને અબજપતિઓની કમી નથી ત્યાં બીજી તરફ એવા લોકો પણ છે જેમની પાસે કામ નથી પરિણામે તેઓ પોતાની ગરીબીનું દળદર ફીટવા માટે અવનવા તરીકાઓ અપનાવતા હોય છે ક્યારેક તેઓ આંધળી ચાકરણને શોધતા ફરે છે ક્યારેક ઘુવડને શોધતા ફરે છે તો ઘોડાની નાળ ઘરમાં સમૃદ્ધિ લાવે છે તેવી માન્યતા તો વર્ષોથી પ્રચલિત છે આથી દરેક ઘરમાં તે જોવા મળે છે પણ આ માન્યતાઓને કારણે પેલા બિચારા નિર્દોષ પ્રાણી પર શું વીતતી હશે તેનો કોઇ ખ્યાલ કરતું નથી હાલમાં પણ ઘોડાની નાળનું ભૂત લોકો પર સવાર થયું હોવાને કારણે તે નાળ બીજા માટે તો નસીબદાર બનતી હશે કે નહી પણ ઘોડા માટે તો કમનસીબી જ બનીરહી છે.તેમાંય કાળા ઘોડાની નાળનો લોકો આગ્રહ રાખતા હોવાને કારણે તે ઘોડાઓનું જીવન નર્ક બની જવા પામ્યું છે. કારણકે વારંવાર નાળ કાઢવાને કારણે તેનો પગ ઘાયલ થઇ જાય છે અને પરિણામે તે સારી રીતે ફરી શકતો નથી. ઘોડાનાં માલિકો એક જ દિવસમાં ચાર ચાર નાળ વેચતા હોય છે અને એ માટે ક્યારેક તેમને એક નાળનાં ૫૦૦ રૂ. સુધી મળી જતા હોય છે.
કાળા ઘોડાઓને પાળનાર એક આખો અલગ સમુદાય છે. જે આ ઘોડા પર સવારીઓ ફેરવવા ઉપરાંત નાળ વેચીને જ પોતાનું પાલનપોષણ કરે છે. તેમના માટે શનિવાર અને મંગળવારનો દિવસ ખાસ રહે છે કારણકે તે દિવસે ઘોડાની નાળ ખરીદનારાઓની સંખ્યા વધારે હોય છે. મોટાભાગે ઘોડાની એક નાળ તેના પગ પર દસ દિવસ સુધી ચાલતી હોય છે.
આ વસ્તુની માંગ એટલી વધી જવા પામી છે કે ઘણી શોપિંગ પોર્ટલ પણ હવે ઘોડાની નાળ વેચતી થઇ ગઇ છે. ઘોડાવાળાઓ ભલે એ વાતનો ઇન્કાર કરતા હોય કે ઘોડાની નાળ વારંવાર બદલવાથી કોઇ ફરક પડતો નથી પણ વાસ્તવિકતા છે કે તેનાથી ઘોડાને ક્યારેક ભારે પીડા સહન કરવી પડતી હોય છે અને ક્યારેક તે આ ઇન્ફેક્શનને કારણે મોતને પણ ભેટતો હોય છે.
