શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 ડિસેમ્બર 2020 (15:54 IST)

હું બીફ ખાઉં છું, તમે મને પૂછવાવાળા કોણ?' : કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયા

સોમવારે કર્ણાટક કૅબિનેટ દ્વારા ગૌહત્યા વિરોધી બિલને મંજૂરી અપાતાં કૉંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમને બીફ ખાવું ગમે છે તેમજ તેમને પોતાના ભોજનની પસંદગીનો પૂરો અધિકાર છે.
 
સ્ક્રોલ ડોટ ઇને સમાચાર એજન્સી PTIના હવાલાથી આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે.
 
બેંગ્લુરૂમાં કૉંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી વખતે સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે “મેં એક વખત વિધાનસભામાં કહ્યું છે કે હું બીફ ખાઉં છું. તમે મને પૂછવાવાળા કોણ?”
 
તેઓ આગળ જણાવે છે કે, “ભોજનની પસંદગી કરવાનો મને અધિકાર છે. એના પર પ્રશ્ન ઉઠાવવાવાળા તમે કોણ? જો તમે ગૌમાંસ ન ખાતા હોવ તો ન ખાવ, હું તમને એના માટે દબાણ કરવાનો નથી.”
 
અહેવાલ પ્રમાણે તેમણે આગળ કહ્યું કે, “આ નવા કાયદાથી લોકોની ફૂડ હૅબિટ પર જ અસર પડશે એવું નથી. પરંતુ આ કાયદાના કારણે રાજ્યના ખેડૂતો પર પણ વિપરીત અસર પડશે.”
 
તેમણે કહ્યું કે, “ખેડૂતો વૃદ્ધ ગાય કે ભેંસને ક્યાં મોકલશે? એક ગાય કે ભેંસની સંભાળ લેવા માટે દરરોજ 100 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જે નાના ખેડૂતો ન ભોગવી શકે. આ નાણાં તેમને કોણ આપશે?”