ગુજરાતના યાત્રાધામોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી: દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર
dwarka shamlaji dakor anmashtami bhakti utsav
જન્માષ્ટમીના પાવન પર્વે સમગ્ર ગુજરાત કૃષ્ણમય બની ગયું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઈને દ્વારકા, શામળાજી અને ડાકોર જેવા મોટા યાત્રાધામોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ક્યાંક ભગવાનને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે, તો ક્યાંક મંગળા આરતી અને પંચામૃત અભિષેક સાથે ઉજવણી શરૂ થઈ છે.
ALSO READ: શ્રી કૃષ્ણ ભગવાનનો થાળ
દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
સૌથી પહેલા વાત કરીએ દ્વારકાની, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૩મા જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ જગત મંદિરે દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણને કેસરિયા વાઘાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને રાજાધિરાજના આ સુંદર સ્વરૂપના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
This Janmashtami, experience the devotion of Krishna across Gujarat.
— Gujarat Tourism (@GujaratTourism) September 4, 2026
From the sacred Dwarkadhish Temple in Dwarka to ISKCON Temple Ahmedabad and Shamlaji Temple, Gujarat offers many places to experience the spirit of Krishna. pic.twitter.com/ISECYs0URr
યાત્રાધામ શામળાજીમાં પંચામૃત અભિષેક
યાત્રાધામ શામળાજીમાં પણ ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. સવારે ૬ વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ ભીડ જામી હતી. મંગળા આરતી બાદ ભગવાન શામળિયાને પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે.
ડાકોરમાં રણછોડરાયજીની મંગળા આરતી
યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારે શ્રી રણછોડરાયજી મંદિરે મંગળા આરતી યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અહીં બપોરે ૧ વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તો દ્વારા કરવામાં આવતા “જય રણછોડ, માખણચોર”ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શ્રદ્ધા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ
આમ, દ્વારકામાં રાજાધિરાજના કેસરિયા શણગાર સાથે દર્શન, શામળાજીમાં શામળિયાનો પંચામૃત અભિષેક અને ડાકોરમાં રણછોડરાયજીની મંગળા આરતી સાથે ગુજરાતના ત્રણેય મોટા યાત્રાધામોમાં જન્માષ્ટમીનો પર્વ અત્યંત ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના માહોલમાં ઉજવાઈ રહ્યો છે.
