Sindhu water treaty : સિંધુ જળ સંધિના અંત સુધીમાં પાકિસ્તાન કેવી રીતે બરબાદ થઈ જશે, શું છે સિંધુ જળ સંધિ
Pahalgam Terror Attack- પહેલગામ આતંકી હુમલા બાદ મોદી સરકારે મોટું પગલું ભર્યું અને પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી. આ નિર્ણયને કારણે પાકિસ્તાન પાણીના એક-એક ટીપા માટે તડપશે અને બરબાદ થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતનો આ નિર્ણય યુદ્ધ અને પરમાણુ બોમ્બના ઉપયોગથી પણ વધુ ખતરનાક છે.
ભારતે બુધવારે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન સાથેની 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે જ્યાં સુધી ઈસ્લામાબાદ સીમા પારના આતંકવાદને વિશ્વસનીય રીતે સમર્થન બંધ ન કરે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલામાં પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
આ નદીઓનું પાણી બંને દેશો માટે મહત્વપૂર્ણ છે: સિંધુ નદી પ્રણાલીમાં તેની પાંચ ડાબા કાંઠાની ઉપનદીઓ રાવી, બિયાસ, સતલજ, ઝેલમ અને ચિનાબ સહિત મુખ્ય નદી સિંધુનો સમાવેશ થાય છે. જમણા કાંઠાની ઉપનદી કાબુલ ભારતમાંથી વહેતી નથી. રાવી, બિયાસ અને સતલજને પૂર્વીય નદીઓ કહેવામાં આવે છે જ્યારે ચિનાબ, જેલમ અને સિંધુ મુખ્ય નદીઓને પશ્ચિમી નદીઓ કહેવામાં આવે છે. તેનું પાણી ભારત અને પાકિસ્તાન બંને માટે મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનમાં પંજાબનો મોટો ભાગ સિંચાઈ માટે સિંધુ અને તેની ઉપનદીઓ પર નિર્ભર છે.
શું છે સિંધુ જળ સંધિઃ આ જળ સંધિ 1960ના સપ્ટેમ્બર મહિનામાં ભારતના તત્કાલિન વડાપ્રધાન સ્વર્ગસ્થ પંડિત જવાહર લાલ નેહરુ અને પાકિસ્તાનના લશ્કરી શાસક ફિલ્ડ માર્શલ અયુબ ખાન વચ્ચે થઈ હતી. વિશ્વ બેંક દ્વારા કરવામાં આવેલી આ સંધિમાં ભારત અને પાકિસ્તાન બંને સિંધુ નદીના પાણીનો ઉપયોગ કેવી રીતે કરશે તેની રૂપરેખા આપવામાં આવી હતી. આ જળ સંધિ અનુસાર ભારતને જમ્મુ-કાશ્મીરમાં વહેતું સિંધ, જેલમ અને ચિનાબનું પાણી રોકવાનો અધિકાર નથી.