ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (16:29 IST)

અમદાવાદમાં ઓનલાઈન મની ટ્રાન્સફર કરવાના નામે વેપારી સાથે 3 લાખની છેતરપિંડી કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો

સાયબર ક્રાઈમના અધિકારીઓએ આરોપીને શોધવા માટે ટેકનિકલ એનાલિસીસ કર્યું
 
અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં Cash payme નામના વેબ પોર્ટલથી ઓનલાઈન મની ટ્રાન્સફર માટે વધુ કમિશન મળશે તેમ કહી રોકડા રૂપિયા લઈ વેપારીના ખાતામાં 3 લાખ રૂપિયા જમા ન કરીને ઠગ ટોળકીએ એક વેપારી સાથે છેતરપિંડી આચરી હોવાની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ આખરે સાયબર ક્રાઈમને સોંપાતા સાયબર ક્રાઈમના અધિકારીઓએ આ કેસના આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. 
સાયબર ક્રાઈમને ટેકનિકલ એનાલિસિસને આધારે આરોપી દિલ્હીમા હોવાનું જાણવા મળ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાયબર ક્રાઈમના અધિકારીઓએ આરોપીને શોધવા માટે ટેકનિકલ એનાલિસીસ કર્યું હતું. જેના આધારે આરોપી હાલ નવી દિલ્હીમાં સૈયદગાંવમાં હોવાનું જાણવા મળ્યું હતું, સાયબર ક્રાઈમના અધિકારીઓએ સૈયદગાંવથી આરોપી પ્રિન્સ ઉર્ફે દિપકની અટક કરી હતી અને તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અમદાવાદ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આરોપી હાલમાં ગુડગાંવની એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર તથા માર્કેટિંગને લગતું કામ કરે છે. તેણે કોમર્સ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેણે આવા કેટલા પ્રકારના ગુના આચર્ચા છે તેની તપાસ શરુ કરવામાં આવી છે. 
શું હતો સમગ્ર મામલો
અમદાવાદના નિકોલની નારાયણ રેસિડેન્સી વિસ્તારમાં રહેતા મૃગેશ પટેલ ઠકકરબાપાનગરમાં યુનિવર્સલ કાફે ધરાવી અને મની ટ્રાન્સફરનું કામ કરે છે. દિપક અને અંશુલ શાહ નામના બે વ્યક્તિ તેમની ઓફિસે આવ્યા હતા અને cash payme નામના વેબ પોર્ટલથી મની ટ્રાન્સફર કરશો તો વધુ કમિશન મળશે તેમ કહ્યું હતું. બીજા દિવસે ફરી બંને લોકો આવ્યા હતા અને વેબ પોર્ટલ વિશે વાત કરી ઓનલાઈન આઇડી મારફતે ગ્રાહકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. 11 માર્ચથી 15 માર્ચ સુધીમાં અલગ અલગ રકમ મોકલી હતી. કેટલાક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર ન થતા બંનેને વાત કરી હતી તેઓએ સર્વત ડાઉન થયું હોવાનું કારણ આપ્યું હતું. 3 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર થયા ન હતા. પૈસા ટ્રાન્સફર ન થતા બંનેને ફોન કર્યા પરંતુ બંધ આવ્યા હતા. વેબ પોર્ટલ પર લોગીન કરતા થયું ન હતું. આખરે તેમણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.