ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (12:25 IST)

ભાજપ અધ્યક્ષ પાટીલના મત વિસ્તારમાં બૂલેટ ટ્રેનની જમીન જંત્રી મામલે ખેડૂતોની કોર્ટમાં જવા તૈયારી

નવસારી જિલ્લામાંથી પસાર થનારી બૂલેટ ટ્રેનમાં જમીનના વળતરનો મુદ્દો પહેલેથી આજદિન સુધી વિવાદિત રહ્યો છે. જંત્રીને આધાર બનાવી વળતર ચૂકવવાનો પ્રથમથી જ વિરોધ થતો રહ્યો છે અને વાસ્તવિક બજારકિંમત મુજબ વળતરની માગ કરાતી રહી છે,જોકે અવારનવાર તંત્રમાં વધુ વળતરની રજૂઆત કરાતી રહી છે અને સરકાર કક્ષાએથી પણ વિચારણાની ખાતરી મળતી રહી હતી. હાલ બૂલેટ ટ્રેન જમીન સંપાદનના અધિકારીઓ વિવિધ ગામમાં મિટીંગ કરી રહ્યા છે, તેમાં જંત્રીને આધાર બનાવી જ વળતર ચુકવવાની વાત કરાતા ખેડૂતોનો વધુ વળતર મળવા બાબતનો વિશ્વાસ ડગી ગયો છે. મળતી માહિતી મુજબ નવસારીમાં ખેડૂત અગ્રણીઓની એક બેઠક મળી હતી.જેમાં ખેડૂત અગ્રણીઓ સિદ્ધાર્થ કૃપલાની, પિનાકીન પટેલ સહિત બૂલેટ ટ્રેન અસરગ્રસ્ત અનેક ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં જંત્રીને આધાર બનાવી વળતર ચુકવવાની ઓફરનો વિરોધ કરાયો હતો અને હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં જે વળતર મુદ્દે કેસ ચાલે છે તેમાં વધુ અસરગ્રસ્તોએ જોડાવાની તૈયારી બતાવી હોવાની જાણકારી મળી છે. અગાઉ કેટલાય ખેડૂતો કોર્ટમાં જવા તૈયાર ન હતા. હવે બૂલેટ ટ્રેનના 90 ટકા અસરગ્રસ્તો સુપ્રિમ અને હાઇકોર્ટમાં કેસમાં જોડાવાની તૈયારી બતાવી રહ્યા છે.