શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (17:39 IST)

અમદાવાદમાં ધો.10ના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા DEOની પહેલ, પ્રિ-બોર્ડ એક્ઝામ લેવાશે

વડાપ્રધાન મોદી આગામી સમયમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરવાના છે. ત્યારે અત્યારે સ્કૂલોમાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિલિમ પરીક્ષા પછી બોર્ડની પરીક્ષાની જેમ જ પ્રિ-બોર્ડ એક્ઝામ લેવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સંકલન સમિતિ પણ સાથે મળીને કામ કરશે.

અમદાવાદમાં બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ એક્ઝામ માટે સેન્ટરની માહિતી મંગાવી હતી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી જે સ્કૂલોમાં યોગ્ય પરીક્ષા થઈ શકે, સીસીટીવી કેમેરા, વિદ્યાર્થીને જરૂરી અન્ય સગવડો હોય તેવા 63 સેન્ટર્સની માહિતી બોર્ડને મોકલવામાં આવી છે. હવે તેમાંથી બોર્ડ દ્વારા નક્કી કરેલા સેન્ટર પર પરીક્ષા થશે. આ પરીક્ષામાં  સ્કૂલ બહારના એક બાહ્ય નીરીક્ષક અને એક આંતરિક નિરીક્ષકની યાદી પણ તૈયાર કરી દેવાઈ છે. વિદ્યાર્થીઓ પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું આયોજન કરાયું છે.બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંકલન સમિતિ સાથે એક ખાસ આયોજન કર્યું છે.  જેમાં પ્રિ બોર્ડ એક્ઝામ બોર્ડની પરીક્ષા પહેલા લેવાશે.જેમાં ખાસ કરીને અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે તેમાં પણ બોર્ડની પરીક્ષાની જેમ જ હોલ ટિકિટ અપાશે. આમ કરવાનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષા માટેનો જે ડર ચિંતા અને તણાવનો માહોલ છે તે દૂર કરી શકાય અને તેઓ આ પરીક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે.