શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (11:00 IST)

અમદાવાદમાં મોબાઈલ શોપમાંથી ચોરાયેલા મોંઘા ફોન બિહારની ચાદર ગેંગે નેપાળમાં વેચી માર્યા

ઘાટલોડિયા શાસ્ત્રીનગર પાસે આવેલી મોબાઈલ શોપમાંથી રૂ.45 લાખની કિંમતના મોંઘા મોબાઈલ ફોન બિહારની ચાદર ગેંગે ચોરી કરી, તે ફોન નેપાળમાં વેચ્યા હોવાનું અને ચોરી થયેલા ફોનમાંથી કેટલાક ફોન નેપાળમાં એક્ટિવ થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.શાસ્ત્રીનગરમાં આવેલી રાજુ જાપાનીની મોબાઈલ શોપના તાળા તોડીને ઘૂસેલા તસ્કરો મોંઘા મોબાઈલ ફોન સહિત રૂ.45 લાખની મતા ચોરી ગયા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનારી ગેંગ બિહારની ચાદર ગેંગ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બીજી બાજુ પોલીસને જાણવા મળ્યું હતું કે, દુકાનમાંથી ચોરાયેલા મોબાઈલ ફોનમાંથી કેટલાક ફોન નેપાળમાં એક્ટિવ થયા છે.ઝોન-1 ડીસીપી ડો.રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બિહારથી નેપાળ નજીક આવેલું છે અને ત્યાંથી બસ-ખાનગી વાહનમાં સરળતાથી નેપાળ જઈ શકાય છે. ચોરી થયેલા ફોન પણ નેપાળમાં જ એક્ટિવ થયાનું જાણવા મળતાં ચાદર ગેંગને પકડવા માટે પોલીસની ટીમ બિહાર મોકલવા તજવીજ આદરી છે.ડો.રવીન્દ્ર પટેલ, ડીસીપી ઝોન-1એ કહ્યું હતું કે, બિહારની ચાદર ગેંગે દિવાળીના સમયમાં સીજી રોડ પર આવેલા ઘડિયાળના શો રૂમમાંથી લાખો રૂપિયાની મોંઘી ઘડિયાળોની ચોરી કરી હતી. ચાદર ગેંગને પકડી પૂછપરછ કરતા ચોરી કરેલી ઘડિયાળ તેઓએ નેપાળમાં વેચી હોવાનું કબૂલ્યું હતું. નેપાળમાં એક જ સેલ્યુલર કંપની છે, પરંતુ દેશ બદલાઈ જતો હોવાથી આઈએમઈઆઈ નંબરને આધારે ફોન ટ્રેસ કરી શકાતો નથી. પોલીસ જાણતી હોવા છતાં તપાસ માટે નેપાળ જઈ શકતી પણ નથી.ચાદર ગેંગ બિહારથી ચોરી કરવા માટે જ સ્પેશિયલ અમદાવાદ આવે છે. એટલું જ નહીં નેપાળમાં મોબાઈલ-ઘડિયાળ સરળતાથી વેચાઈ જતાં હોવાથી આ ગેંગ મોબાઈલ-ઘડિયાળ શોપને જ ટાર્ગેટ કરે છે.