1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (18:35 IST)

CAA વિરોધ: જાણો ગુજરાતમાં ક્યાં છે કેવી સ્થિતિ, શાહઆલમ સહિત અનેક વિસ્તારોમાં પથ્થરમારો

નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે સિટીઝનસીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા સહિતના શહેરોમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના પગલે પોલીસ વિભાગ પણ સતર્ક થઇ ગઇ છે અને પોલીસ અધિકારીઓને સ્ટેન્ડ બાયના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બંધની નજીવી અસર જોવા મળી રહી છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બંધની અસર નહિવત છે. અમદાવાદ શહેરના જૂહાપુરા અને સરખેજ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે.

અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં દિલ્હી અને આસામની હિંસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક માહોલને કાબૂમાં કર્યો હતો. બીજી તરફ શાહ આલમ વિસ્તારમાં પણ સ્થિતી વણસી હતી. શાહઆલમમાં છુટાછવાયો પથ્થરમારાની પણ ઘટનાઓ બની હતી. અનેક રૂટ પર જતી એએમટીએસ સહિતની બસોને બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ આગચેતીનાં ભાગરૂપે પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદના લાલદરવાજાના ઐતિહાસિક ઢાલગરવાડનું કપડાં બજાર, જમાલપુર તેમજ જુહાપુરા પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આજે અપાયેલા અમદાવાદ બંધને લઈને પોલીસ સતર્ક છે અને શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે..કોઈપણ જાતની અપ્રિય ઘટના ન બને તે માટે એસઆરપીની 22 કંપનીઓ તૈનાત કરાઈ છે.સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે

શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાના મતે કોઈપણ વ્યક્તિ શહેરમાં દુકાનો કે ધંધા રોજગારના સ્થળોએ બળજબરી પૂર્વક બંધ કરાવવા નીકળશે તો ધરપકડ થઈ શકે છે.દરિયાપુર , શાહપુર, કાલુપુર, જુહાપુરા સહિતના સંવંદેનશીલ વિસ્તારોમાં પણ સઘન બંદોબસ્ત ગોઠવાયો છે.સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા શખ્સો પર ક્રાઈમ બ્રાન્ચનું સાઈબર સેલ નજર રાખી રહ્યુ છે.

અમદાવાદના મિર્ઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો, AMTSની બસોમાં તોડફોડ
અમદાવાદમાં બંધને પગલે યોજાયેલા પ્રદર્શને ધીરે-ધીરે હિંસક રૂપ ધારણ કર્યું છે, ત્યારે સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસે બળ પ્રયોગ કરતા લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઉપરાંત મિર્ઝાપુર વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મિર્ઝાપુર વિસ્તારમાં કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા કેટલીક AMTS ની બસોમાં તોડફોડ કરવામાં આવી છે.

વડગામ
આજે વડગામ તાલુકામાં ધારાસસભ્ય જિગ્નેશ મેવાણીની ટીમના માણસો અને ત્યાંના સ્થાનીક લોકો સહિત આશરે 5 હજાર લોકો રોડ ઉપર વિરોધ કરવા આવી ગયા હતા અને CAA અને NRCના વિરોધમાં વડગામમાં રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો.

પંચમહાલ
નાગરિક સંશોધન કાયદાના વિરોધમાં પૂર્વોત્તર રાજ્યમાં હિંસક વિરોધ થઇ રહ્યો છે. ત્યારે CAA અને NRCના વિરોધને પગલે મુસ્લિમ આગેવાનોની અપીલનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મુસ્લિમ આગેવાનોએ સ્વૈચ્છિક બંધ રાખવાની અપીલ કરી હતી. જેના પગલે આજે શહેરના મુસ્લિમ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી અને શહેરામાં પણ મુસ્લિમ સમાજ દ્વારા બંધ પાળવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશન વિસ્તાર નગીના મસ્જિદ હૂસેનીચોક વિસ્તારના મુસ્લિમ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો અને શહેરા નગરમાં પોલીસ દ્વારા કોઈ જ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.